Spread the love


• કિશોર મકવાણા 

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 90

• રેડક્લિફ, જેણે ક્યારેય ભારત જોયું નહોતું એણે ભારતના ભાગલાની સરહદ રાતોરાત આંકી.

  • ભાગલા મે મહિનામાં અને સ્વતંત્રતા ઓગસ્ટમાં થવાની છે. લોકો એ જાણવા માટે ઉતાવળા હતા કે તે ક્યા દેશમાં રહેશે, પરંતુ તેમને જાણી જોઈને અંધારામાં રાખવામાં આવ્યા અને સ્વતંત્રતાના બે દિવસ પછી પણ એમને ખબર પડી નહીં કે તે ક્યા દેશમાં રહેવાના છે ?
  • રેડક્લિફ માટે તો ભારત સાવ અજાણ્યો દેશ હતો. ભારતમાં તેઓ આ પહેલાં એક સામાન્ય પ્રવાસી તરીકે પણ ક્યારેય આવ્યા નહોતા અને તેમને ભારતની જટિલ સમાજવ્યવસ્થા, તેની ભૂગોળ કે પછી આ દેશની જુદી જુદી ભાષાઓ, સંસ્કૃતિ, વિવિધતાઓ તેની કોઈ માહિતી જ નહોતી છતાં પણ તેમણે માઉન્ટબેટનની સાથે મળીને આ મહાન વિવિધતાવાળા દેશના ટુકડા કર્યા. કેવી વિચિત્રતા અને કેવી કરુણતા?? તેમનું નામ ઝીણાએ સૂચવેલું.
  • પં. નહેરુ તદ્દન અવ્યવહારુ રીતે પૂર્વ અનુમાનો પર કામ કરી રહ્યા હતા. સરહદનું કામ ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય, જેનાથી સત્તાપલટો પણ તરત જ થાય એ તેમની પ્રાથમિકતા હતી. તેમની પ્રાથમિકતા સત્તાપલટો હતી, વ્યવહારુતા નહીં અને કોઈ જંજાળ વગર પણ સીમાંકન જલદી થઈ જાય.

લોર્ડ માઉન્ટબેટનના નિર્ણયનાં અત્યંત ભયંકર પરિણામ આવ્યાં. મોસ્લેના જણાવ્યા મુજબ : ‘બ્રિટન સરકાર અખંડ ભારતને જૂન 1948 સુધીમાં સ્વતંત્ર કરવા માટે તૈયાર હતી તો પછી 10 મહિના પહેલાં ખંડિત ભારતને સ્વતંત્રતાનું વચન કઈ રીતે આપી શકાય ? …ભલે માઉન્ટબેટન તેના પરિણામ સ્વરુપે થનારી કત્લેઆમ અને યાતનાઓની કલ્પના ન કરી શક્યા હોય, પરંતુ તે વાસ્તવમાં બેફામ અને ભયંકર અવ્યવસ્થા સિવાય બીજી કઈ વાતની અપેક્ષા રાખતા હતા ? એક પછી એક ભૂલ !’‘ભારતના ભાગલાની જાહેરાત મે 1947માં કરવામાં આવી અને જૂન સુધી – માત્ર છ અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો હતો ત્યાં સુધી લશ્કરના ભાગલાની યોજનાનું ક્યાંય ઠેકાણું નહોતું.

‘ભાગલાની જાહેરાત મે મહિનામાં કરવામાં આવી, પરંતુ બે નવાં રાજ્યોને અલગ કરનારી સરહદને નિશ્ચિત કરનાર કમિશનને જૂનના અંત સુધી નિયુક્ત કરવામાં નહોતું આવ્યું.’’ ‘ભાગલા મે મહિનામાં અને સ્વતંત્રતા ઓગસ્ટમાં થવાની છે. લોકો એ જાણવા માટે ઉતાવળા હતા કે તે ક્યા દેશમાં રહેશે, પરંતુ તેમને જાણી જોઈને અંધારામાં રાખવામાં આવ્યા અને સ્વતંત્રતાના બે દિવસ પછી પણ એમને ખબર પડી નહીં કે તે ક્યા દેશમાં રહેવાના છે.’(મોસ્લે : ધ બ્રિટિશ રાજ, પૃષ્ઠ: 283-284)સર (પછીથી વિસ્કાઉન્ટ) સિરિલ જૉન રેડક્લિફ (1899-1977) ગ્રેટ બ્રિટનના એક ખૂબ જાણીતા અને સન્માનનીય નાગરિક હતા. જેમને નવી સરહદી રેખા દોરવાની જવાબદારી સોંપવામાં આવી હતી તે આ જ વ્યક્તિ હતા, પરંતુ બેજવાબદાર અને ઉતાવળમાં તૈયાર કરવામાં આવેલા આ એવોર્ડના લેખક તરીકે અને પછી અક્ષમ્ય વિલંબથી ખૂબ મોડેથી 1947ની 17મી ઑગસ્ટે કરવામાં આવેલી તેની જાહેરાતથી તેઓ વિવાદોમાં ફસાઈ ગયા. તેઓ બ્રિટનની સર્વોચ્ચ અદાલતના બારનું એક બુદ્ધિશાળી વ્યક્તિત્વ હતા, પરંતુ ભારત માટે તો બિલકુલ અજાણ હતા. એમની સમગ્ર કાનૂની કારકિર્દી સફળતા અને પ્રભાવથી ભરપૂર પણ ફક્ત બ્રિટનમાં હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941માં તેમને ઈન્ફર્મેશન સેક્રેટરીએટના ડાયરેક્ટર જનરલના પદનો એકમાત્ર સરકારી વહીવટનો અનુભવ હતો.

સરહદી પંચમાં રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત સભ્યોએ તેના (પંચના) તારણો ઉપર પક્ષીય વિચારને કબજો જમાવવા દીધો. પહેલાં તો રેડક્લિફની નિમણૂક સામે કૉંગ્રેસે વાંધો લીધો હતો પરંતુ પછીથી કોન્ગ્રેસના નેતાઓએ પોતાના વાંધાને દબાવીને ઉલટાના તેના સિદ્ધાંત અને રચના બંનેની સ્વીકારી લીધા હતા.જવાહરલાલ નહેરુએ 12 જૂન 1947 ના રોજ માઉન્ટબેટનને લખેલ પત્ર પર વિચાર કરો. પંજાબ અને બંગાળમાં સરહદી પંચ માટે સૂચવવામાં આવેલી શરતોને જોડીને નહેરુએ ત્યારે કહ્યું હતું કે, ‘આપને એમ જણાશે કે આ બહુ નાની અને સરળ વાત છે… આ મામલાને સરહદી પંચ ઉપર છોડી દેવું સારું રહેશે, સરહદી પંચનું કામ ખૂબ ઝડપથી થવું જોઈએ.

’પં. નહેરુએ વધુમાં કહ્યું, ‘જો આપણે આ મામલાને અહીં જ મુશ્કેલ બનાવી દઈશું તો કામગીરી ઢીલમાં પડી જશે. જેનાથી આખરી નિર્ણયમાં મોડું થશે.’ભારત માટે તદ્દન કોઇ અજાણી વ્યક્તિ દેશની સરહદો નક્કી કરવાનું કામ કરે અને એ પણ માત્ર ત્રણ મહિનામાં એ કોઈ સામાન્ય કામ તો નહોતું. માઉન્ટબેટનને રેડક્લિફના નામની ભલામણ લૉર્ડ લિસ્ટોવેલે કરી હતી. એ તેમને ઉચ્ચ ગરિમા, કાનૂની પ્રતિષ્ઠા અને વિશાળ અનુભવવાળા વ્યક્તિ માનતા હતા. આ તમામ વિશેષતાઓ રેડક્લિફમાં હતી તેમાં શંકા નથી, પરંતુ ભારત તો તેમના માટે સાવ અજાણ્યો દેશ હતો. ભારતમાં તેઓ આ પહેલાં એક સામાન્ય પ્રવાસી તરીકે પણ ક્યારેય આવ્યા નહોતા અને તેમને ભારતની જટિલ સમાજવ્યવસ્થા, તેની ભૂગોળ કે પછી આ દેશની જુદી જુદી ભાષાઓ, સંસ્કૃતિ, વિવિધતા તેની કોઈ માહિતી જ નહોતી છતાં પણ તેમણે માઉન્ટબેટનની સાથે મળીને આ મહાન વિવિધતાવાળા દેશના ટુકડા કર્યા. કેવી વિચિત્રતા અને કેવી કરુણતા?? તેમના નામનું સૂચન મહંમદઅલી ઝીણા તરફથી સૂચવવામાં આવ્યું હતું કે રેડક્લિફે પૂર્વ અને પશ્ચિમ ભારત બંને માટે રચાનારા પંચોની અધ્યક્ષતા કરવી જોઈએ. માઉન્ટબેટને આ સૂચનને તરત જ સ્વીકારી લીધું અને એવું પણ કહ્યું કે બંને પંચોના એક અધ્યક્ષ (ખેંચવામાં આવનાર નવી સરહદી રેખા) બંને સરહદોની વચ્ચે નફો અને નુકસાનને વધુ સારી રીતે સંકલિત કરી શકશે. સોદાબાજીની તૈયારી ‘નફા અને નુકસાન’નો આ વિચાર તે માઉન્ટબેટનની એક ખાસ યુક્તિ લાગતી હતી, જે વાસ્તવમાં એક ભડકાવી દેનારો સંકેત પણ હતો. કારણ કે સરહદી પંચનું તરીકે કામ કરવાનું એક આગવું પરિણામ હોય, જેનીસાથે પછી અપરિવર્તિત સિદ્ધાંત નક્કી કરવામાં આવે અથવા તો જે ‘વધારા-ઘટાડા’ વચ્ચેનું સંતુલન જળવાઈ રહે તેની સરખામણી કરી શકે તેવા લચીલાપણા માટે મધ્યસ્થી કરવાવાળી એક એવી રાજકીય સમિતિ હોય, પરંતુ એ સ્પષ્ટ છે કે અહીં આવી વ્યવસ્થા તો હતી જ નહીં.

પછી તો ઘણી બધી ક્રૂર અને ઉકેલ ન મળી શકે તેવી સમસ્યાઓ તો ઉભી થવાની નક્કી જ હતી અને તે ઊભી થઈ પણ ખરી, જે હકીકતમાં આજે આપણી વચ્ચે વારસામાં લમણે લખાઇને આવી છે.

પં. નહેરુ તદ્દન અવ્યવહારુ રીતે પૂર્વ અનુમાનો પર કામ કરી રહ્યા હતા. સરહદનું કામ ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય, જેનાથી સત્તાપલટો પણ તરત જ થાય એ તેમની પ્રાથમિકતા હતી. તેમની પ્રાથમિકતા સત્તાપલટો હતી, વ્યવહારુતા નહીં અને કોઈ જંજાળ વગર પણ સીમાંકન જલદી થઈ જાય અને કાંઈ પણ વિચાર્યા વિના તેમણે પોતાના એ આશયથી જાહેર પણ કર્યો હતો કે ભલે અત્યારે અસ્થાયી, કામચલાઉ સરહદ બનાવવામાં આવે, પરંતુ પાછળથી બંને પક્ષો (ભારત-પાકિસ્તાન) સમન્વય કરી બધું સરખું કરી લઇશું.

આમાં દુરંદેશીનો સાવ અભાવ તો પૂરેપૂરો હતો જ, મુર્ખામી પણ હતી. આ બાબતમાં માઉન્ટબેટન પં. નહેરુ સાથે સંમત થાય તેમાં જરા પણ આશ્ચર્ય એટલા માટે નથી, કારણ કે લોર્ડ માઉન્ટબેટન પોતે તો ખૂબ ઉતાવળમાં જ હતા. એમને જેમ બને તેમ જલદી ભાગલા કરી બ્રિટન ભાગવું હતું. એવું લાગે છે કે આ બંને માટે ‘જલદી’ અને ‘સત્તા’ જ ત્યારે વહાલી હતી, બીજું કશું નહીં, ભારતના ‘લોકો’પણ નહીં. નહેરુએ સૂચન કર્યું કે સરહદીપંચને સૂચનાઓ આપવામાં આવે કે તેઓ કેવળ બંગાળના બંને ભાગોનું સીમાંકન કરે અને તેના માટે તેઓ મુસ્લિમ અને બિનમુસ્લિમવાળા વિસ્તારોને આધાર તરીકે રાખે.’ માઉન્ટબેટને વધુ એક વખત નહેરુની દરખાસ્તને સ્વીકારી લીધી. આ વાત રેડક્લિફને સમજાવી દીધી કે સરહદને એક ‘કાચી’ અને ‘તૈયાર’થી તાત્કાલિક ઉપાય’ સિવાય કાંઈ વધારે કરવાનો ઈરાદો નથી.

1947ની 12મી ઑગસ્ટે રેડક્લિફનો નિર્ણય તૈયાર હતો. પરંતુ માઉન્ટબેટને પોતાની વગનો ઉપયોગ કરીને રેડક્લિફને 13મી ઑગસ્ટ સુધી રોકી રાખવા કહ્યું અને ત્યાં સુધી તેઓ કરાચી જવા માટે રવાના થઈ ગયા હતા. 1497ની 14મી ઑગસ્ટે પાકિસ્તાન અને 15 ઑગસ્ટે ભારત સ્વતંત્ર દેશ તરીકે બહાર આવ્યા. આ નવા બનેલા પાકિસ્તાનની સરહદ કઇ હશે અને ભારતની સરહદો ક્યાં સુધી લંબાયેલી હશે તેનીખબર જ નહોતી, અથવા તો હિન્દુઓ અને મુસલમાનોને અલગ-અલગ કરનાર ભાગલાની રેખા ક્યાં ખેંચવામાં આવી છે તેની પણ ખબર નહોતી. 15 ઓગસ્ટ સુધી આવી સ્થિતિ હતી.

તમામ રીતે કાલ્પનિક સરહદોની ખેંચાયા વગરની રેખાઓ ઉપર જ સત્તાબદલો થયો અને જે ઉતાવળમાં રેડક્લિફ રેખા ખેંચવામાં આવી તે પૂરેપૂરી એક કરુણતાના રૂપમાં ખોટી સાબિત થઈ. આ ઉતાવળે ખાલી પોતાની પાછળ અનિર્ધારિત સરહદોને જ નહીં, પરંતુ કેટલીક કાયમી સમસ્યાઓને પણ જન્મ આપ્યો છે. 15 ઓગસ્ટ પછી અચાનક જાહેર થયેલી સરહદોએ લાખો લોકોને મોતના મુખમાં ધકેલી દીધો, સેંકડો બહેનોની આબરુ લૂંટી લીધી.

|: ક્રમશ:|

©️kishormakwana


Spread the love