• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો.
વાંચો લેખમાળાનું પ્રકરણ – 72
• ફેંકાઇ ગયેલા મહંમદઅલી ઝીણાને ગાંધીજીએ છાપરે ચડાવ્યા…
- ગાંધીજી સામે ચાલીને મહંમદ અલી ઝીણાના મુંબઇના નિવાસસ્થાન 10 માઉન્ટ રોડ મળવા ગયા. પ્યારેલાલ લખે છે: ‘મળ્યા ત્યારે તેમણે એકબીજા સાથે હાથ મિલાવ્યા અને એકબીજાને ભેટ્યા. મહાત્મા ગાંધીનું સ્વાગત કરવા ઝીણા બહાર ગલી સુધી આવ્યા અને વિદાય સમયે એમને બહાર સુધી મૂકવા પણ ગયા. 9 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર 1944 સુધી 19 દિવસ સુધી વાટાઘાટો ચાલતી રહી. ગાંધીજીના પ્રસ્તાવની પણ ઝીણાએ મજાક ઉડાવવામાં આવી. ઝીણાનો વ્યવહાર સાવ ચોખ્ખો હતો: ‘દેવાની વાત નહીં કરવાની, મામ લેવાની વાત કરવાની.’
- ઝીણાનો રાજકીય સિતારો ટમટમતો હતો. આ જ વખતે ગાંધીજીએ ઝીણાના બારણે ટકોરા માર્યા. એમને ‘કાયદે આઝમ’ કહી નવાજ્યા. આથી પરસ્પર-વિરોધી મુસ્લિમ સમૂહમાં મુસલમાનોના એક માત્ર સર્વોચ્ચ પ્રવક્તા ઝીણા છે એવી છાપ ઉપસી આવી. ઝીણાની ગીધનજર તો એ લક્ષ્ય પર શરૂઆતથી જ ખોડાઈ હતી. આ વખતે ઝીણા એમના રાજકીય જીવનના સૌથી વિકટ ગ્રહ સામે ઝઝૂમી રહ્યા હતા. આવા સંકટકાળે એમને માટે ગાંધીજી સાક્ષાત્ સંકટમોચન સિદ્ધ થયા. ગાંધીજીના આ પગલાએ હિન્દુ માનસને હચમચાવી દીધું.
- ગાંધીજીને લખેલ પત્રમાં સર છોટુરામે આકરા શબ્દોમાં ફરિયાદ કરતાં લખ્યું કે પંજાબના હિન્દુઓ અને શીખોને માત્ર સોદાબાજીની વસ્તુ સમજી લેવામાં આવી છે. એમને માટે તો આ જીવનમરણનો પ્રશ્ન છે. સાવરકરે સ્પષ્ટ શબ્દોમાં આ પગલાની ટીકા કરી : ‘ભારતના પ્રાંતો ગાંધીજી કે રાજાજીની પોતાની જાગીરો નથી કે એ ગમે તેને આપી દે.’
ભારત છોડો’ આંદોલન લગભગ ટાઢું પડી ગયું હતું. મહાત્મા ગાંધીજી સહિત બધા કૉંગ્રેસી નેતાઓ જેલમાં બંધ હતા. રાજકીય શૂન્યાવકાશ કૉંગ્રેસ તરફ ઘૂરકીયા રહ્યો હતો. આવી પરિસ્થિતિમાં સી. રાજગોપાલાચારીને મુસ્લિમ લીગ સાથે કોઇ સમાધાન નીકળે એ માટે ફરી એકવાર ચર્ચા કરવાનું શૂરાતન ચડ્યું. સી. રાજગોપાલાચારીએ ‘ભારત છોડો’ આંદોલનનો જગજાહેર વિરોધ કરેલો, એટલે અંગ્રેજોએ એમની ધરપકડ કરી નહોતી. એનો લાભ લઇ એ મુસ્લિમ લીગ અને રાષ્ટ્રીય કોન્ગ્રેસ વચ્ચે મેળાપ કરાવવાના પ્રયત્નો કરતા રહ્યા. અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિએ એમને ઝાટકી નાખ્યા હતા તોય એમણે એમની જીદ છોડી ન હતી. એમણે મદ્રાસ પ્રાંતમાં પ્રચાર આંદોલન ચલાવ્યું. પંડિત નહેરુ તથા અન્ય કૉંગ્રેસ નેતાઓ એમના પર તૂટી પડ્યા અને કહ્યું કે, ‘તેઓ હજારો લોકોના લોહી-પરસેવાથી સિંચાયેલા પક્ષને તોડવા બેઠા છે.’ અકળાયેલા રાજાજીએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, પણ એમણે એમના પ્રયાસો છોડ્યા નહીં. એમણે એમ પણ કહ્યું કે ‘જે વાત કૉંગ્રેસની ટોચે બેઠેલા લોકો ગુપચુપ રીતે કરે છે, એ વાત હું તો કેવળ મોટેથી કરું છું.’ કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતીનો આધાર બની શકે એવી એક યોજના એમણે 1943માં તૈયાર કરી. એ વખતે ગાંધીજી જેલમાં ઉપવાસ કરી રહ્યા હતા. ગાંધીજીને યોજના દેખાડવામાં આવી. એમની સંમતિ લેવામાં આવી. ૧૯૪૪ ના એપ્રિલમાં રાજાજીએ આ યોજના મહંમદઅલી ઝીણાને મોકલી. એમની સાથે ચર્ચા કરી, પત્રવ્યવહાર કર્યો. રાજાજીની યોજનાની શરતો આ પ્રમાણે હતી-
મુસ્લિમ લીગ સ્વાધીનતાની માગણીને ટેકો આપે.
સંક્રમણકાળમાં કામચલાઉ સરકારની રચનામાં કૉંગ્રેસને સહયોગ આપે.
યુદ્ધ પૂરું થતાં જ્યાં મુસ્લિમોની બહુમતી છે એને અડીને આવેલ જિલ્લાનું રેખાંકન કરવા એક પંચની રચના કરવામાં આવે. એ પ્રદેશોમાં હિન્દુસ્થાનથી અલગ થવાના પ્રશ્રે નિર્ણય કરવા બધા જ રહેવાસીઓનાે જનમત સંગ્રહ લેવાે. જો બહુમતી પ્રજા અલગ સાર્વભૌમ રાજ્ય બનાવવાનો નિર્ણય કરે તો એ નિર્ણયને અમલમાં લાવવો.’ (વી. પી. મેનન, ટ્રાંસ્ફર ઓફ પાવર, પૃષ્ઠ: 162)
ગાંધીજીએ રાજાજીની વિભાજનની વાતને સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી. એ જાણીને મહંમદઅલી ઝીણા ખુશ થઈ ગયા, પણ એમણે રાજાજીની યોજના ફગાવી દેતાં કહ્યું, ‘આ તો માત્ર આભાસી છે, સત્વ વિનાનું છે. આ તો ભાગલું -તૂટ્યું, ક્ષત-વિક્ષત અને ઊધઈ લાગેલું પાકિસ્તાન છે.’
ઘણા રાજાજીની ‘દૂરંદેશી’ને દાદ આપવા લાગ્યા. એમના મતે કેવળ રાજાજીમાં જ એટલી સૂઝબૂઝ અને સાહસ હતાં કે તેઓ ભાવિ ઘટનાક્રમને સ્પષ્ટપણે જોઈ શકતા હતા અને એ દિશામાં પગલા ભરી શકવા સશક્ત હતા, જ્યારે બીજા લોકો ભ્રમિતદશામાં હતા. રાજાજીના આ પ્રયાસને એક બીજી નજરે જોઇએ તો કોઇ બીજો જ રંગ જોવા મળે છે. એ દિવસોમાં સ્વાધીનતા સંઘર્ષ અત્યંત નિર્ણાયક ટોચ પર હતો. આપણી રાષ્ટ્રીય એક્તાના શત્રુઓ પોતપોતાની કૂટનીતિજ્ઞ ચાલો ચાલી રાષ્ટ્રીય એક્તા તોડવાના પ્રયાસો કરવામાં પડ્યા હતા. બધા રાષ્ટ્રવાદીઓ પોતપોતાના મતભેદો ભૂલી રાષ્ટ્રની આકાંક્ષાને કિલ્લાને મજબૂત કરે તેમજ શત્રુના ઉદ્દેશોને નિષ્ફળ બનાવે એ પરિસ્થિતિનો તકાજો હતો. આવી ઘડીએ પ્રતિસ્પર્ધકે ફેંકેલો દાવ ખાળી શકાય એવો નથી એમ કહી એને સ્વીકારી લેવાની કોઇપણ પ્રયાસ એક રીતે તો નિરાશાનું પ્રદર્શન અને હરીફને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા જેવો છે. આવી હરકતોથી તો સ્વાધીનતા આંદોલન ડામાડોળ બની જાત અને ભ્રમિત થઈ જાત. આને કોઈ પણ પ્રકારે રાજકીય દૂરંદેશીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય ખરું ?
6 મે 1944ના રોજ તબિયત સારી ન હોવાના કારણે ગાંધીજીને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા. એમણે છૂટ્યા પછી તરત જ 17 જુલાઈના રોજ મહંમદઅલી ઝીણાને પત્ર લખ્યો. ‘ભાઈ’ લખી સંબોધન કર્યું અને બન્ને વચ્ચે મુલાકાત થવી જોઈએ એવી વિનંતી કરી. પત્રમાં લખ્યું: ‘મને ઈસ્લામ કે ભારતના મુસલમાનોનો દુશ્મન માનવામાં ન આવે. હું તો સદાયથી આપનો અને માનવતાનો સેવક અને મિત્ર રહ્યો છું. મને નિરાશ ન કરશો.’ (વી. પી. મેનન, ટ્રાંસ્ફર ઓફ પાવર, પૃષ્ઠ: 163)
ગાંધીજીએ ઝીણાને આ પત્રમાં ગુજરાતીમાં લખ્યો હતો. પત્રમાં એમણે એમ પણ લખ્યું હતું કે ‘પોતાની એક જ માતૃભૂમિ રુપે તેઓ ભાઇચારાનો એક નવો આધાર શોધી રહ્યા છીએ.’
મહંમદઅલી ઝીણાએ ગાંધીજીને અંગ્રેજીમાં જવાબ આપ્યો હતો. એમણે લખ્યું કે અંગ્રેજી જ એવી ભાષા છે જેમાં એમને પોતાના વિચારો વ્યક્ત કરવામાં ઓછી ભૂલો થવાની શક્યતા છે. ઝીણાએ ગાંધીજીને જણાવ્યું કે પોતે થોડા દિવસ કાશ્મીર જઇ રહ્યા છે. પાછા ફર્યા પછી આપ મારા ઘરે પધારશો તો મારું સન્માન વધશે.’ ગાંધીજી પોતાના આશ્રમમાં પોતાના સમર્થકોની હાજરીમાં
જ આગંતુક સાથે વાત કરતા હતા, એકાંતમાં વાત કરતા નહોતા. માટે જ ઝીણાએ ગાંધીજીને સ્પષ્ટ કહ્યું હતું કે આ જ કારણે તેઓ તેમને મળવા તેમના આશ્રમે મળવા જતા નથી.
ઝીણાએ 30 જુલાઈના રોજ મુસ્લિમ લીગની કાર્યકારિણી સમક્ષ પત્ર રજૂ કર્યો. ઝીણાએ કહ્યું : ‘આખરે આ તો સારું છે. આગળ વધવાની આશા બંધાવે છે. શ્રી ગાંધીએ વ્યક્તિગત રીતે તો વ્યક્તિગત રીતે ભારત વિભાજન કે વહેંચણીના સિદ્ધાંતને માની લીધો છે. હવે તો પ્રશ્ર કેવળ એટલો જ રહી ગયો છે કે કેવી રીતે અને ક્યારે આ સિદ્ધાંતને વ્યવહારમાં લાવી શકાય એમ છે.’ (મદનગોપાલ, સર છોટુરામ, પૃષ્ઠ: 134)
ગાંધીજી સામે ચાલીને મહંમદ અલી ઝીણાના મુંબઇના નિવાસસ્થાન 10 માઉન્ટ રોડ મળવા ગયા. પ્યારેલાલ લખે છે: ‘મળ્યા ત્યારે તેમણે એકબીજા સાથે હાથ મિલાવ્યા અને એકબીજાને ભેટ્યા. એમની પહેલી બેઠકમાં માનવીય ઝલક જોવા મળી. મહાત્મા ગાંધીનું સ્વાગત કરવા ઝીણા બહાર ગલી સુધી આવ્યા અને વિદાય સમયે એમને બહાર સુધી મૂકવા પણ ગયા. 9 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર 1944 સુધી 19 દિવસ સુધી વાટાઘાટો ચાલતી રહી. આ પછી પત્રવ્યવહાર શરુ થયો. ગાંધીજીએ દરેક સમયે ઝીણાને કાયદે આઝમ (મહાન નેતા) તરીકે સંબોધ્યા, જ્યારે ઝીણા ગાંધીજીને ‘મિસ્ટર ગાંધી’ જ કહેતા રહ્યા.
ગાંધીજીએ રાજાજીના સૂત્રને આધારે વાતચીત શરૂ કરી. મહંમદઅલી ઝીણાએ એને ફગાવી દીધી તો ગાંધીજીએ એક નવો પ્રસ્તાવ મૂક્યો. પોતાની વાતની ભૂમિકા બાંધતાં એમણે કહ્યું કે ભારતને બે કે તેથી વધુ રાષ્ટ્રોવાળું માનવું જોઈએ નહીં. એ તો અનેક સભ્યો ધરાવતું એક કુટુંબ છે.
ગાંધીજીએ કહ્યું કે ભારતને બે કે એથી વધુ રાષ્ટ્રોવાળું એક કુટુંબ છે. ગાંધીજીએ કહ્યું કે સંપ્રદાય પર આધારિત ‘દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત’ તદ્દન અતાર્કિક છે. ઈતિહાસમાં આવું કોઈ ઉદાહરણ નથી કે ધર્માંતરિતો અને એમના વંશજોને એમના મૂળ વંશથી અલગ કરી એક રાષ્ટ્ર તરીકે માનવામાં આવ્યાં હોય. ઈસ્લામના આગમન પહેલાં ભારત એક રાષ્ટ્ર હતું તો એણે એક રાષ્ટ્ર જ રહેવું જોઈએ. ભલે ને એનાં બાળકોના એક બહુ મોટા સમુદાયે ધર્મ પરિવર્તન કર્યું હોય.’ (ડી. જી. તેંડુલકર, મહાત્મા-ભાગ-6, પૃષ્ઠ: 345)
ઝીણા સાવ અક્કડ રહ્યા. છતાંય ગાંધીજીએ કહ્યું કે બલૂચિસ્તાન, સિંધ, પશ્ચિમોત્તર સીમા પ્રાંત, પંજાબ, બંગાળ અને આસામમાં રહેનારા મુસલમાનો શેષ ભારતથી જુદા રહેવા માગતા હોય તો કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે એક પંચની રચના કરવામાં આવે. એ પંચ એ ક્ષેત્રોનું સીમાંકન કરે અને ત્યાંના રહેવાસીઓની ઈચ્છા જાણવા માટે લોકમત લેવામાં આવે. અલગ રહેવાના પક્ષે મત પડે તો એનો સ્વીકાર કરવો અને ભારત આઝાદ થયા પછી જેમ બને તેમ જલદીથી આ પ્રદેશોનું એક અલગ રાજ્ય બનાવવામાં આવે.
ઝીણાએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં કહ્યું કે આ પ્રસ્તાવ તો મુસ્લિમ લીગના લાહોર પ્રસ્તાવમાં રહેલ મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે. લાહોર પ્રસ્તાવ પ્રમાણે ભારતના મુસલમાનો એક રાષ્ટ્રરૂપે હતા અને આત્મનિર્ણયનો એમનો જન્મસિદ્ધ અધિકાર હતો. બીજા કોઈ કોમ નહીં કેવળ મુસલમાનો જ એ અધિકારનો પ્રયોગ કરી શકતા હતા. ભારત આઝાદ થાય એ પછી એક અલગ રાજ્ય બનાવવામાં આવે એવા ગાંધીજીના પ્રસ્તાવની પણ ઝીણાએ મજાક ઉડાવવામાં આવી. ઝીણાનો વ્યવહાર સાવ ચોખ્ખો હતો: ‘દેવાની વાત નહીં કરવાની, માત્ર લેવાની વાત કરવાની.’
ઝીણાએ કહ્યું:
‘અત્યારે, આ વખતે જ પૂરેપૂરી સમજૂતી થઈ જાય અને એ પછી પાકિસ્તાન અને હિન્દુસ્થાનના પાયા પર સ્વરાજ્યનો મહેલ ચણવાનું કામ શરૂ કરવું જોઇએ.
બન્ને ભૂખંડના સામૂહિક હિત માટે વિદેશ નીતિ, સંરક્ષણ, વાહનવ્યવહાર, સીમા-શુલ્ક, વેપાર વગેરેના શ્રેષ્ઠ વહીવટ માટે પૃથક્કરણની એક સંધિ હેઠળ એક સંયુક્ત નિયંત્રણ પરિષદની રચના કરવામાં આવે એવા ગાંધીના સૂચનને ઝીણાએ ત્રણ વાર નકારી કાઢ્યું. ઝીણાએ કહ્યું કે આ વિષયો તો કોઈ પણ રાજ્યના જીવન-મરણના તત્વો છે. એને કોઈ સંયુક્ત કેન્દ્રીય સત્તાને સોંપી શકાય નહિ. એમનું નવુ રાજ્ય તો ભારતથી તદ્દન અલગ રહેવું જોઈએ અને જરૂર પડે તો એને એની સાથે યુદ્ધ કરવાનો અધિકાર હોવો જોઈએ. વાટાઘાટો નિષ્ફળ જતાં ગાંધીજીએ નિરાશ થઇને કહ્યું કે એમનો અને ઝીણાનો દ્રષ્ટિકોણ સમાંતર છે અને એમાં ક્યાંય કોઈ જગ્યાએ મેળ ખાય એમ લાગતું નથી.
બધા જ નિષ્પક્ષ ઈતિહાસ – લેખકો અને રાજકીય પ્રેક્ષકોએ વિચારો વ્યક્ત કર્યા છે કે નિર્ણાયક સંધિકાળે ગાંધીજીએ ઝીણા માટે જે સદ્દભાવ પ્રગટ કર્યો તે મહંમદઅલી ઝીણાની ધમકીને મર્યાદામાં રાખવાની નજરે ખૂબ જ મોંઘો પડ્યો. ઝીણાની મુલાકાત લેવાનો ગાંધીજીનો નિશ્ચય જાણી ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ ગાંધીજીને લખ્યું કે એમના આ પગલામાં ભયંકર પરિણામો સમાયેલાં છે. એમણે આ વિચાર જ છોડી દેવાનો એમને આગ્રહ કર્યો. સર છોટુરામ કૉંગ્રેસમાં હતા અને પાછળથી પંજાબના સત્તાધારી પક્ષ યુનિયનિસ્ટ પાર્ટીના ટોચના હિન્દુ નેતા હતા. એમણે ગાંધીજીને એક લાંબો કાગળ લખ્યો. કાગળમાં એમણે જણાવ્યું કે પાકિસ્તાનના આધારે આજીજીની મુદ્રામાં ઝીણા સાથે વાટાઘાટ કરવામાં મોટા સંકટની સંભાવના રહેલી છે. એમણે ચેતવણી આપતાં કહ્યું કે રાજાજી અને ગાંધીજીએ જે યોજના તૈયાર કરી છે એમાં….
હિંન્દુઓ અને મુસલમાનોનાં બે અલગ અલગ રાષ્ટ્ર છે એવા ઝીણાના સિદ્ધાંતને સમર્થન મળે છે.
ઝીણાને મુસ્લિમોના એક માત્ર પ્રતિનિધિ માની લેવામાં આવ્યા છે. એનાથી મુસ્લિમ લીગીઓનું મનોબળ વધી ગયું છે. એમને મદદ મળી છે, પણ કૉંગ્રેસના સાથી મુસલમાનોનું મનોબળ તૂટી ગયું છે.
પહેલાં પંજાબમાં અને પછી કાશ્મીરમાં મહંમદઅલી ઝીણાની સ્થિતિને જે ધક્કો લાગ્યો હતો એને આનાથી બળ મળ્યું છે.
છોટુરામે તો ગાંધીજીને એ પણ જણાવ્યું કે શહેરોમાં રહેતા મુસ્લિમોને બાદ કરતાં બાકીનો ગામડામાં રહેતો મુસ્લિમ વર્ગ અને યુદ્ધભૂમિમાં લડતા જવાનો પછી એ હિન્દુ હોય કે મુસલમાન, આ બધા જ મુસ્લિમ લીગીઓના કટ્ટર વિરોધી છે.
યુદ્ધની શરૂઆત થઈ ત્યારે મહંમદઅલી ઝીણાનું કોઈ પણ પ્રાંતીય સરકાર પર નિયંત્રણ ન હતું; પણ રાજીનામાં આપી કૉંગ્રેસ મેદાનમાંથી હટી ગઈ ત્યારે એમને ભેટવા સદા આતુર એવા અંગ્રેજોના સહયોગથી ઝીણા સિંધ, આસામ, બંગાળ અને પશ્ચિમોત્તર સીમા પ્રાંતમાં મુસ્લિમ લીગી પ્રધાનમંડળ રચવામાં સફળ થયા. આ પ્રધાનમંડળો પણ સ્થાયી ન હતાં. સ્થાયીપણાથી તે જોજનો દૂર હતાં. આ તો અત્યંત સંવેદનશીલ સંતુલન હતું. સંયોગથી બનેલ અલગ અલગ સમૂહની એક ટોળકી હતી. પંજાબના મુખ્યમંત્રી ખિજાહયાતખાં પોતે લીગના સભ્ય હોવા છતાં એમણે યુનિયનિસ્ટ પ્રધાનમંડળને લીગી પ્રધાનમંડળ બનાવવાનો ઈન્કાર દીધો.
આ એક મોટો સંવેદનશીલ સંધિ-સમય હતો. ઝીણાનો રાજકીય સિતારો ટમટમતો હતો. આ જ વખતે ગાંધીજીએ ઝીણાના બારણે ટકોરા માર્યા. 19 દિવસ સુધી વાટાઘાટો ચાલી. એમને ‘કાયદે આઝમ’ કહી નવાજ્યા. આથી પરસ્પર-વિરોધી મુસ્લિમ સમૂહમાં મુસલમાનોના એક માત્ર સર્વોચ્ચ પ્રવક્તા ઝીણા છે એવી છાપ ઉપસી આવી. ઝીણાની ગીધનજર તો એ લક્ષ્ય પર શરૂઆતથી જ ખોડાઈ હતી. આ વખતે ઝીણા એમના રાજકીય જીવનના સૌથી વિકટ ગ્રહ સામે ઝઝૂમી રહ્યા હતા. આવા સંકટકાળે એમને માટે ગાંધીજી સાક્ષાત્ સંકટમોચન સિદ્ધ થયા.
ગાંધીજીના આ પગલાએ હિન્દુ માનસને હચમચાવી દીધું. એ પ્રદેશોના હિન્દુઓ એમને મુસ્લિમ વરૂઓ આગળ ફેંકી દેવામાં આવશે એવી આશંકાથી થથરી ઊઠ્યા. પંજાબ અને બંગાળના હિન્દુઓએ ખૂબ બૂમાબૂમ કરી. ગાંધીજીને લખેલ પત્રમાં સર છોટુરામે આકરા શબ્દોમાં ફરિયાદ કરતાં લખ્યું કે પંજાબના હિન્દુઓ અને શીખોને માત્ર સોદાબાજીની વસ્તુ સમજી લેવામાં આવી છે. એમને માટે તો આ જીવનમરણનો પ્રશ્ન છે. સાવરકરે સ્પષ્ટ શબ્દોમાં આ પગલાની ટીકા કરી : ‘ભારતના પ્રાંતો ગાંધીજી કે રાજાજીની પોતાની જાગીરો નથી કે એ ગમે તેને આપી દે.’
એ સમયની સ્થિતિ જ એવી હતી કે જેમાં ગાંધીજી હિન્દુઓના એકમાત્ર વિખ્યાત નેતા ગણાતાહતા. એમણે અસંખ્ય વાર લીગના લાહોર પ્રસ્તાવ પછી પણ, સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનની ધારણાની ટીકા કરી હતી. લોકોએ એ જ ગાંધીજીને ઝીણાની ચાલબાજી આગળ ઘૂંટણીએ પડતા જોયા ત્યારે એમના મનોબળને ભરે આઘાત લાગ્યો.
: ક્રમશ:
©kishormakwana