સ્વતંત્રતાના વાત્સલ્ય ભર્યા પર્વે આજે માભોમના એ અગણિત હુતાત્માઓનું સ્મરણ કરવાનો દિવસ છે. હે ભારતના ભાગ્યવિધાતા, એવાં ભારતીય નાગરિક તારે એ યાદ રાખવું ઘટે કે कृतध्नि नास्ति निश्कृति: અર્થાત કૃતધ્નિને માટે કોઈ પ્રાયશ્ચિત નથી માત્ર ભોગવવા ની કઠોર સજા જ છે.
1857થી શરૂ થયેલી સ્વતંત્રતાની લડતે સશસ્ત્ર ક્રાંતિની કેડી કંડારવાની શરૂઆત કરી હતી. 1857નો સ્વતંત્રતા સંગ્રામ એ સૌપ્રથમ વખત સંગઠીત રજવાડાઓએ અંગ્રેજી સત્તાને આપેલો પડકાર હતો. સમગ્ર ભારત આજે સ્વાતંત્ર્યની પ્રથમ લડાઈના નેતાઓ, રણનીતિકારો, લડવૈયાઓ, હુતાત્માઓ વિશે કેટલું જાણે છે તે યક્ષપ્રશ્ન છે. જો સશસ્ત્ર ક્રાંતિના લડવૈયાઓના નામ યાદ કરવા બેસીએ તો ચાર પાંચ નામે આવીને સ્મરણશક્તિ હાથતાળી આપીને જતી રહે એવું બનવું સ્વાભાવિક બનતું જાય છે. એક તરફ એવું કહેવાય છે કે જે સંસ્કૃતિ પોતાનો ઈતિહાસ નથી સાચવતી એ સંસ્કૃતિને કુદરત પણ સાચવવાની ધરાર ના કહી દે છે.
1857ની સશસ્ત્ર ક્રાંતિથી શરૂ થયેલું સ્વતંત્રતાનું યુદ્ધ સ્વતંત્રતા મળવાનાં કેટલાક જ વર્ષમાં કેવી રીતે અહિંસક બની ગયું ? વિચાર કરવો પડે એવો પ્રશ્ન છે. 90-90 વર્ષનાં સ્વતંત્રતા સંગ્રામમાંના ઈતિહાસમાંથી સશસ્ત્ર ક્રાંતિનો છેદ શા માટે અને કેવી રીતે ઉડાડી દેવામાં આવ્યો ? થાય છે ક્યારેય આ પ્રશ્ન તને ભારત ભાગ્યવિધાતા એવાં ભારતીય નાગરિક તને ? “મારે શું” ના તકિયાકલામની આડમાં આ પ્રશ્નો નહીં પુછવાના નાહિંમત વર્ષોમાં જ અસ્તિત્વ ને ધુળમાં મેળવી દેનાર અથવા ધુમાડો કરી દેનાર તને ક્યારેય એવો સવાલ નથી થતો કે 23મી માર્ચ 1931 ને દિવસે “મેરા રંગ દે બસંતી ચોલા”ના ગાન સાથે હસતાં હસતાં માભોમના ચરણે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર એવાં વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના સમર્થકો, સાથીદારો, એમની સશસ્ત્ર ક્રાંતિના લડવૈયાઓ 15મી ઑગસ્ટ 1947 આવતા જ ક્યાં ગયા ? 18મી ઑગસ્ટ 1945 પછી અમર સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના એ સેંકડો સૈનિકોનું શું થયું ? કેટલાં સૈનિકોને સ્વતંત્રતા સેનાનીના માન સન્માન આપવામાં આવ્યા ? અરે ! કોઈને આઝાદ હિંદ ફોજના પાંચ સૈનિકોના નામ યાદ છે ? શું ક્યારેય આ સ્વતંત્રતા સંગ્રામ જેણે 15 ઑગસ્ટ 1947 પહેલાં ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓને અંગ્રેજી રાજથી સ્વતંત્ર કર્યાં હતાં એવો ઈતિહાસ ક્યારેય વાંચવામાં આવ્યો છે ? સ્વતંત્ર આંદામાન અને નિકોબાર ટાપુઓને “શહીદ દ્વિપ” અને “સ્વરાજ દ્વિપ” એવું નામકરણ પણ કર્યું હતું સુભાષચંદ્ર બોઝે કેટલાં ને ખબર હશે ? અરે આ જાણી ને જો હરખ થયો હોય તો ઊભાં રહો એ ટાપુઓ આઝાદ હિંદ ફોજના વીર જવાંમર્દ જવાનોએ બ્રીટીશ શાસનથી સ્વતંત્ર કરાવ્યા હતાં એ માટે એવું કહેવામાં આવે છે કે “પ્રેકટીકલી એ ટાપુ ઓ ઉપર જાપાન નું પ્રભુત્વ હતું.” કેવું અચરજ !
વિડંબના નહીં તો બીજું શું છે ? એક રાક્ષસ જેવા અંગ્રેજ અધિકારી એ એક બગીચામાં જેનો એક જ દરવાજો હતો એ રોકીને ત્યાંથી જ એકઠા થયેલા નિર્દોષ નાગરિકો જેમાં સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો પણ હતાં એમનાં ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, એ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા કેટલાં વિદેશી મહેમાનોને ત્યાં લઈ જવામાં આવે છે ?
ક્યાં ગયા એ ક્રાન્તિકારી લડવૈયા ઓ ? સ્વતંત્રતા મળતાં જ ? આકાશ ગળી ગયું કે ધરતી એ પોતાના ખોળામાં સમાવી લીધાં ? સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાંથી આ ક્રાંતિકારી ચળવળ, વિચારો, લડવૈયાઓ અને ભારત ભૂમિની પરાધીનતાની સાંકળો તોડવા પોતાનાં જીવનની આહુતિ આપી દેનારા જવામર્દોના નામ ? સ્વતંત્રતા સંગ્રામના યજ્ઞની વેદીમાં જીવનને સમિધ બનાવી આહુતિ આપનાર એવાં વીરોનો ઈતિહાસ ક્યાં છે ?

આ વાંચી ને કોઈ રખે એવું માની લેવાની ભૂલ કરે કે અહિંસાના પૂજારી અને સત્યાગ્રહી એવાં મહાત્મા ગાંધી અને એમની સ્વતંત્રતાની લડતને અવગણી રહ્યા છીએ, એ અહિંસક આંદોલનનું પોતાનું યોગદાન છે જ જેને અવગણી ન શકાય. મહાત્મા ગાંધીજી અને અહિંસક આંદોલન વિશે ચોક્કસ લખવાનું અને નાનકડી બુદ્ધિથી વિશ્લેષણ કરવાનું ગમશે જ.
મુળ પ્રશ્ન એ છે કે સ્વતંત્રતા સંગ્રામ એ સહિયારો પ્રયાસ હતો સમગ્ર ભારત વર્ષનો, આઝાદી ની લડત માં સામાન્ય માં સામાન્ય નાગરિક જોડાયા છે. દરેક નો યથાશક્તિ ફાળો અને યોગદાન છે જ. એક ઈતિહાસ એવો સતત દર્શાવવામાં આવે છે કે કેટલા સ્વતંત્રતા સેનાનીઓએ કેટલાં જેલમાં કેટલાં વર્ષ વિતાવ્યા હતા એનાં આંકડાઓ સોઈ ઝાટકીને આપવામાં આવે છે, ઐતિહાસિક પ્રમાણ સાથે આપવામાં આવે છે પરંતુ આ બધું જ આપનારાને જ્યારે ક્રાન્તિકારી લડવૈયાઓ વિશે સવાલ પુછવામાં આવે ત્યારે એમની પાસે ન તો એટલા ક્રાન્તિકારીઓ વિશે જાણકારી હોય છે અને ના ઐતિહાસિક પ્રમાણ, અને હોય પણ ક્યાંથી ? મારી સમજણ એટલી જ છે કે જો સ્વતંત્રતા એ કંસાર છે તો એ કંસારને તૈયાર કરવા માટે લોટ, ઘી, ગોળ, પાણી, અગ્નિ, ચુલો, કડાઈ, તાવેથો અને અન્ય દરેક ઉમેરી શકાય એ દરેક વસ્તુઓ ભેગી મળીને કંસાર તૈયાર કરી શકાય છે ત્યારે માત્ર લોટથી જ કંસાર બન્યો છે એવું કહેવું એ બાકીના ભાગીદારોને અવગણી અને બધો જ યશ લેવાની વૃત્તિ છે એવું જ ગણાય. મને થયેલાં પ્રત્યેક પ્રશ્નો આપને જીવનમાં ક્યારેકને ક્યારેક તો થયાં જ હશે અને આજે સવાલનો જવાબ આપ શ્રી જાતે જ આપી શકો એટલાં સક્ષમ છો જ એટલો આત્મવિશ્વાસ ધરાવતાં થયાં છો એવું માનીને અંતિમ ચરણ લખી એ નામી અને અનામી દરેક હુતાત્મા ઓને હ્રદયપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીને વંદન કરૂં.
છેલ્લે યાદ રાખજે હે ભારત ભાગ્યવિધાતા એવાં ભારતીય નાગરિક આ ધરતી જેમનાં રક્તથી પાવન થયેલી છે, આ રાષ્ટ્રનું આકાશ જેમનાં “વંદેમાતરમ્” અને “ઇન્કલાબ ઝીંદાબાદ” નારાઓથી ગુંજતું હતું અને આજે પણ કાન સરવા કરતાં એ નારાઓનુ ગુંજન સંભાળી શકાય છે, આ દેશની એ દરેક જેલોની દિવાલો જ્યાં આ જવામર્દો ઉપર અમાનુષી, કલ્પના પણ ન કરી શકાય એવાં અત્યાચારો ગુજારવામાં આવેલાં એ સાક્ષી છે. એમનાં ભારત ભૂમિને લાગેલી પરતંત્રતાની સાંકળોને તોડવાની તાલાવેલી અને એ માટે જે કંઈ પણ અરે, જીવન પણ બલિદાન કરવું પડે તો એની બેફિકર તૈયારી માટે ની.
ફરીથી હે, ભારત ભાગ્યવિધાતા એવાં ભારતીય નાગરિક “कृतध्नि नास्ति निष्कृति:” કરેલાં ઉપકારને ભુલી જનાર, કૃતધ્નિને માટે કોઈ જ પ્રાયશ્ચિત નથી, વીરોના બલિદાનોની અવગણના ન જ થવી જોઈએ, હે ભારત ભાગ્યવિધાતા એવાં ભારતીય નાગરિક તું જાગ, “મારે શું ?” ની ભાવના ને ત્યાગ, પ્રશ્ન પુછ અન્યથા આવનારી પેઢી તને ક્યારેય ક્ષમા નહીં આપે.