Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 23


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..

વાંચો લેખમાળાનું પ્રકરણ 23


• મહાન ક્રાંતિવીર સાવરકર જેવા અગણિત વીરો ક્રાંતિજૌહરમાં કૂદી પડ્યા


મૃત્યુદંડની વેળાએ ક્રાંતિકારી અશફાકઉલ્લા ખાનના હોઠ પર માતૃભૂમિની વંદનાના સ્વરો હતા: ‘હે મારી પ્રિય માતૃભૂમિ, મેં તો મારું તન, મન તારા ચરણોમાં અર્પણ કરી દીધું છે. પછી મને મૃત્યુનો ભય કેવો ? બેડીથી બંધાયેલા હાથો વડે પણ તને વંદન કરું છું. શ્રીકૃષ્ણે રણક્ષેત્રની મધ્યે અર્જુનને આ ઉપદેશ નો’તો આપ્યો કે વાસ્તવમાં ન તો કોઇ જન્મે છે અને ન કોઇ મરે છે ?

ક્રાંતિકારીઓની દેશપ્રેમની ધધકતી આગમાં સાંપ્રદાયિક કટ્ટરતા ખાખ થઇ ગઇ અને એક સમાન રાષ્ટ્રીય લક્ષ્ય માટેનો માર્ગ મોકળો થયો.

1906માં 23 વર્ષની વયે વીર સાવરકર ભણવા માટે લંડન તરફ પ્રસ્થાન કર્યું, 1909માં બેરિસ્ટરના પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ગુજરાતના ક્રાંતિકારીઓના ગુરુ સમાન શ્યામજી કૃષ્ણવર્માએ 1897માં લંડનમાં હાઈગ્રેડ પાસે કોમવેલ હાઉસ ખરીદ્યું હતું. જેમાં હિન્દુસ્તાની વિદ્યાર્થીઓ રહેતા હતા. એમાંથી કેટલાંક નામો : વિપુલભાઈ પટેલ, લાલા હરદયાલ, મદનલાલ ધિગરા, ભાઈ પરમાનંદ, વિનાયક દામોદર સાવરકર…

સાવરકર 26 વર્ષના હતા ત્યારે એમના મોટાભાઈ બાબારાવને જન્મટીપની સજા થઈ હતી. એ દિવસોમાં જન્મટીપની સજા થનારને આંદામાન ટાપુમાં પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં મોકલી દેવામાં આવતા હતા. એ સજા કાળા પાણીની સજા કહેવાતી હતી, અને એમાંથી માણસ જીવતો પાછો ફરે એ સંભવ ન હતું. સાવરકરની ક્રાંતિકારી પ્રવૃત્તિથી ગભરાયેલા અંગ્રેજોેએ સાવરકરની ધરપકડ કરી. પેરિસથી લંડન આવેલા સાવરકરને ગિરફતાર કરવામાં આવ્યા, અને ભારત આવી રહેલા જહાજમાંથી સાવરકરે સમુદ્રમાં કૂદકો માર્યો. ફ્રાન્સના માર્સેલ્સ બંદરે પહોંચી ગયા. પણ ફ્રેન્ચ સરકારે એમને અંગ્રેજ સરકારને સોંપી દીધા. કેસ થયો, સાવરકર પર ત્રણ આરોપ હતા. એમાં બે આરોપ ગંભીર હતા. એક, ઇંગ્લેન્ડમાં મદનલાલ ધિંગરાએ કરેલી કર્નલ વાયલીની હત્યા પાછળ સાવરકરનો હાથ હતો. એના માટે આજન્મ કારાવાસની સજા, બીજો આરોપ હતો કે ભારતમાં કલેક્ટર મિ. જેક્સનની હત્યા જે પીસ્તોલથી થઇ હતી એ પિસ્તોલ ઇગ્લેન્ડથી

સાવરકરે જ ભારત પહોંચાડી હતી. એમાં પણ એમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. બબ્બે કારાવાસ, વિનાયક સાવરકર ઉંમર વર્ષ 27, કેદી ક્રમાંક 32778, વર્ગ-સી, કક્ષા-૨,કૈદી થવાનો સમય 1910…મુક્તિનું વર્ષ 1960 ! સાવરકરનો આજીવન કારાવાસ શરૂ થયો.

1910માં જન્મટીપ થઈ. કુલ સજા પચાસ વર્ષની, એટલે કે 27 વર્ષીય સાવરકર 1960માં મુક્ત થાય ત્યારે 77 વર્ષના હોય !

મુંબઇની ડોંગરી જેલમાં કેદ સાવરકરને મળવા એમનો સાળો અને પત્ની આવ્યા એ વર્ણન સાવરકરે ‘મારી જનમટીપમાં કર્યું છે. ભીતરથી હચમચી જઇએ એવું આ પુસ્તક છે. સાવરકર લખે છે: ‘સળિયાવાળી બારી પાસે મારી પત્ની સાથે આવેલો મારો સાળો ઊભો છે. જેલના પોશાકમાં,

પગમાં જકડેલી ઠોકી ઠોકીને બેસાડેલી ભારે બેડીઓને બને તેટલી સહેલાઈથી ઊંચકવાને પ્રયત્ન કરતો હું આજે પહેલી જ વાર તેમની સામે ઊભો રહ્યો ! મારા મનમાં શું થયું ?… ચાર વરસ પહેલાં જ્યારે આ જ મુંબઈમાંથી હું તેમની વિદાય લઈને વિલાયત ગયો, ત્યારે પાછા આવતાં બૅરિસ્ટરના ભભકાદાર ઝભ્ભામાં સુખ અને સંપત્તિની આશાના તેજ વડે પ્રકાશતો હું સામે આવીશ એ તેમની આકાંક્ષા હતી ! તેના બદલે આજે મને આ નિઃસહાય નિરાશાની બેડીઓમાં જકડી લીધો છે. એ જોઈને તે ઓગણીસ વીસ વર્ષની યુવાન બાળાના હૃદયને કેવો ધ્રાસ્કો લાગશે ? તે બન્ને સળિયાની બહાર ઊભેલાં હતાં. મારા હાથને પોતાના હાથે સ્પર્શ કરવાનીય એમને રજા ન હતી. પાસે પરાયાનો નિર્દય પહેરો, જે વિચારોને શબ્દોનું સાન્નિધ્ય પણ સંકોચાસ્પદ થાય, વિચાર મનમાં આવી રહ્યા છે ! પચાસ વર્ષના–એટલે જીવનભરના લાંબા વિયોગ – પહેલાંની આ છેલ્લી જ વિદાય લેવાની છે ! અને તે ય આ વિદેશી તુમાખી જેલરની અને સ્નેહશૂન્ય દ્રષ્ટિપાતની કક્ષામાં જ ! આ જન્મારામાં હવે તમારી-અમારી બીજી મુલાકાત થવાની નથી, એવું કહેનારી જ આ મુલાકાત હતી !

આકાશ વાદળાંથી ભરાઈ જાય, તેમ આ વિચારોથી હૈયું ભરાઈ આવ્યું. પણ બીજી જ પળે વિવેકની ચોકી ઉપર તેમને અટકાવી તેમનાં ટોળાંને નસાડી મૂકવામાં આવ્યાં. અમારી આંખ મળી કે નીચે બેસીને મેં હસીને પૂછ્યું : ‘કેમ ? મને જોતાં જ ઓળખ્યો કે નહિ ? માત્ર આ કપડાં જ બદલાયા છે, બાકી હું તો હતો તે જ છું, ઠંડીનું નિવારણ કરવાનો જે વસ્ત્રોનો હેતુ હોય છે. તે આ કપડાંથી લગભગ ઠીક ઠીક સરે છે.’ થોડી જ વારમાં હાસ્ય વિનોદમાં ગરકાવ થઈ જાણે ઘરમાં હોય તેમ તેઓ સ્વાભાવિક રીતે બોલાવા લાગ્યાં. આ તક જોઈને મેં એકદમ વચ્ચે કહ્યું : “ઠીક ત્યારે, જો ઈશ્વરની દયા હશે તો ફરીથી મળીશું જ. ત્યાં લગી જો આ સામાન્ય સંસારનો મોહ થવા માંડે,તો એવો વિચાર કરજો કે બચ્ચાં કત્ચાંની સંખ્યા વધારવી ને ચાર તણખલાં ભેગાં કરી માળો બાંધવો એને જ સંસાર કહેવો હોય,તો એવો સંસાર તો કાગડા અને ચકલીઓય માંડે છે. પણ સંસારનો આથી વધારે ભવ્ય અર્થ માનવો હોય તો મનુષ્યનો સંસાર શોભાવવામાં આપણે સફળ થયા છીએ, આજે આપણાં હાંલ્લાં માટલાં ફૂટી ગયાં છે, પણ તેથી ભવિષ્યમાં હજારોનાં ઘરમાંથી સોનાનો ધુમાડો નીકળવાનો સંભવ છે. ને ઘર ઘર કરી ઘરને વળગી રહેનાર પ્લેગમાં હજારોની સંખ્યામાં નથી મરતાં શું ? લગ્ન મંડપમાંથી વરવધૂને વિખૂટાં કરી મૃત્યુની દાઢમાં સોંપી દેવાનું કામ દૈવ નથી કરતું શું ? આવો વિચાર કરી આવેલી આફતની સામે થજો. કેટલાંક વર્ષ પછી અંદામાનમાં કુટુંબને લઈ જવાની છૂટ મળે છે, એમ સાંભળ્યું છે. તે બને તો સરસ. ન બને તો આ દિવસો સામેય બરાબર ઝૂઝશું, એવી હિંમત ધરજો.”

“એવો પ્રયત્ન તો કરીએ જ છીએ, અમે તો એકબીજાની હૂંફથી બહાર સુખે રહી શકશું. અમારી ચિંતા શાને કરો છો ? તમારી જાતને સાચવશો તો ગંગા નાહ્યા એમ અમે માનીશું.”

આટલી વાતચીત થઈ, એટલામાં તો સુપ્રિન્ટેન્ડન્ટે ‘વખતપૂરો થઈ ગયો છે’ એમ કહ્યું, એટલે હોઠ પરનાં અર્ધા વાક્યો એમ ને એમ છોડી મેં મુલાકાત પૂરી કરી.’ આંદામન જેલની ભયાનકતા, યાતના અને અત્યાચારની બર્બરતા ‘મારી જનમટીપ’માં સાવરકરે વર્ણવી છે.

આંદામાનમાં મજબૂત માણસો પણ પાંચ વર્ષમાં તુટી જતા હતા. એ આંદામાનમાં સાવરકર 1910 થી 1921 સુધી અગ્યાર વર્ષ રહ્યા. એમની આત્મકથા ‘મારી જન્મટીપ’ આંદામાનના ભયાનક જેલ જીવનનું વર્ણનછે. 1922માં એમને કલકત્તા પાસે અલિપુર જેલમાં રાખવામાં આવ્યા. પછી રત્નાગિરિમાં નજરકેદ,1924 થી 1937 સુધી 14 વર્ષો સુધી. પચાસ વર્ષની કાળા પાણીની આજન્મ સજા પછી માણસ આત્મહત્યા કરી નાખે અને કેટલાય ક્રાન્તિકારીઓએ આંદામાનમાં આત્મહત્યા કરી હતી. પણ સાવરકર સિંહ હતા. નિર્ભય અને દ્રઢનિશ્ચયી હતા. પોતાનો અને પરિવારનો સ્વાર્થ જોયો નહોતો. એમના ભાઇને પણ કાળાપાણીની સજા થઇ હતી. કેવળ ભારતની સ્વતંત્રતાની લડત માટે થઇને વિદ્યાર્થી અવસ્થામાં જ ફરગ્યુઝન કોલેજની હોસ્ટેલમાંથી બરતરફ કરવામાં આવ્યા. ઇગ્લેન્ડ બેરિસ્ટર બનવા ગયા તો ત્યાં અંગ્રેજોની છાતી પર ભારતની સ્વતંત્રતાની હિંસક લડત આદરી. એમણે કઠોર ક્રાંતિકાર્યના પથ પર ચાલતા રહી ભારત માતાની મુક્તિ માટે જંગ ખેલ્યો હતો. સાવરકરનું સમગ્ર જીવન યુવાનો માટે પ્રેરણારૂપ છે.

અશફાકઉલ્લા ખાન એક પ્રસિધ્ધ ક્રાંતિકારી હતા. ૯ ઑગસ્ટ, ૧૯૨૫ના પ્રસિદ્ધ કાકોરી કાંડમાં ભાગ લેવા માટે એમને ફાંસીની સજા કરવામાં આવી ત્યારે માતૃભૂમિના આ પૂજારીએ મૃત્યુનું ખૂબ જ પ્રેમ ભાવથી સ્વાગત કર્યું. મૃત્યુદંડની વેળાએ એમના હોઠ પર માતૃભૂમિની વંદનાના સ્વરો હતા.: ‘હે મારી પ્રિય માતૃભૂમિ, મેં તો મારું તન, મન તારા ચરણોમાં અર્પણ કરી દીધું છે. પછી મને મૃત્યુનો ભય કેવો? હું તો હજીય તારાં ગુણગાન કરું છું. બેડીથી બંધાયેલા હાથો વડે પણ તને વંદન કરું છું. શું શ્રીકૃષ્ણે રણક્ષેત્રની મધ્યે અર્જુનને આ ઉપદેશ નો’તો આપ્યો કે વાસ્તવમાં ન તો કોઇ જન્મે છે અને ન કોઇ મરે છે? મારી તો એક જ આકાંક્ષા છે કે મારી પ્રિય માતૃભૂમિની બેડી તૂટે અને સદા સર્વદા એનાં જયગાન થાય. એનાથી શો ફરક પડે છે કે હું જીવતો રહું કે ન રહું ?’

જન્મજાત કવિ અને ક્રાંતિકારીઓના પ્રિય નેતા રામપ્રસાદ બિસ્મિલને પણ અશફાકઉલ્લા ખાન સાથે ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. જેલની ઓરડીમાં જ લખાયેલી પોતાની આત્મકથામાં એમણે પોતાના અભિન્ન મિત્ર અશફાક પ્રત્યે પોતાના ભાવ પ્રકટ કરતાં કહ્યું :

‘એ જ બન્યું, તું મારો સાચો મિત્ર બની ગયો. બધાને નવાઇ હતી કે એક કટ્ટર આર્યસમાજી અને મુસલમાનનો મેળ કેવી રીતે? હું મુસલમાનોની શુદ્ધિ કરતો હતો. આર્યસમાજ-મંદિરમાં મારો નિવાસ હતો, પરંતુ તું એ વાતોની જરાય ચિંતા કરતો નહોતો. મારા કેટલાક સાથી તું મુસલમાન હોવાને કારણે તને કંઇક શંકાની દ્રષ્ટિએ જોતા હતા, પરંતુ તું તારા નિર્ણય પર અડગ હતો, મારી પાસે આર્ય સમાજ મંદિરમાં આવતો જતો હતો. હિન્દુ–મુસલમાનના ઝઘડા થતાં તારા મહોલ્લાના બધા જ તને ઉઘાડેછોગ ગાળો આપતા હતા, કાફર કહેતા હતા : પણ તું કદીય એમના વિચારો સાથે સહમત ન થયો, સદૈવ હિન્દુ-મુસ્લિમ એકતાનો પક્ષધર રહ્યો. તું એક સાચો મુસલમાન અને સાચો સ્વદેશભક્ત હતો. તારા જીવનમાં જો કોઇ વિચાર હતો, તો એ જ કે મુસલમાનોને ખુદા અક્કલ આપે કે જેથી તેઓ હિન્દુઓ સાથે મળીને હિન્દુસ્થાનનું ભલું કરે. હું હિંદીમાં કોઇ લેખ કે પુસ્તક લખતો તો તું કાયમ આગ્રહ કરતો કે ઉર્દૂમાં કેમ નથી લખતા, જેથી મુસલમાનો પણ વાંચી શકે? તેં સ્વદેશભક્તિના ભાવોને સુયોગ્ય રીતે સમજવા માટે જ તે હિન્દી ભાષા શીખ્યો. મારા ઘરે માતાજી અને ભાઇજી સાથે વાતચીત કરતી વખતે તારા મોંમાંથી હિંન્દી શબ્દો નીકળતા જોઇને સૌને ખૂબ આશ્ચર્ય થતું હતું. તારી એક જ ઇચ્છા હતી કે મુસ્લિમ યુવકો અને તારા મિત્ર – સગા સંબંધી પણ ક્રાંતિની ભાવનાથી ઓતપ્રોત થાય.’

આ એક પ્રેરણાદાયી ઉદાહરણ એ વાતનું પ્રમાણ છે કે જો યોગ્ય વાતાવરણ તૈયાર કરવામાં આવે તો ભારતના મુસલમાનો પણ રાષ્ટ્રીયતાના રંગે રંગાઇ શકે છે. પરંતુ મુસ્લિમ તુષ્ટિકરણની આડમાં, સેક્યુલારિઝમના નામે એમને રાષ્ટ્રની મુખ્યધારાથી દૂર લઇ જવામાં આવે છે, પહેલા આ કામ અંગ્રેજોએ કર્યું અને સ્વતંત્રતા પછી કોન્ગ્રેસ તેમજ અન્ય પક્ષો અને સેક્યુલર બૌદ્ધિકોએ કર્યું.


ક્રમશ: ©kishormakwana


Spread the love