Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 15


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને પ્રસિદ્ધ લેખક, પત્રકાર શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ 15


• ભારતીયોની સંગઠિત શક્તિ સામે અંગ્રેજ સલ્તનત ઝૂકી ગઇ


બંગાળીઓએ 16 ઑક્ટોબર, 1905ના ભાગલા દિવસને રક્ષાબંધન દિવસ તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો. પચાસ હજારથી પણ વધુ લોકો ગંગાસ્નાન કરીને મહાન સંકલ્પ માટે બારીસાલમાં એકઠા થયા. ‘વંદે માતરમ્’ના ગગનભેદી જયઘોષ ચારે દિશાઓમાં ગૂંજી ઊઠ્યા. રવીન્દ્રનાથ ટાગોરે અખંડ બંગાળના લક્ષ્યને પૂર્ણ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી.

‘વંદે માતરમ્’નો જયઘોષ બંગાળની સરહદો ઓળંગીને સમગ્ર રાષ્ટ્ર માટે સંઘર્ષનો નારો બની ગયો. ખુદીરામ બોઝ જેવા 16 વર્ષના ક્રાંતિવીરોએ અંગ્રેજોની હાલત બગાડી નાખી. ઇંગ્લેન્ડના સમ્રાટ જ્યોર્જ પાંચમા ગભરાઈને દિલ્હી દોડી આવ્યા અને 12 ડિસેમ્બર,1911ના દિવસે એક ખાસ ‘દરબાર’માં એમણે ઘોષણા કરી કે બંગાળના ભાગલા રદ કરી દેવામાં આવ્યા છે. બંગાળના વિભાજન પાછળ અંગ્રેજોનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુઓની કમર તોડી નાખવાનો હતો. એના માટે અંગ્રેજોએ આજના સેક્યુલર નેતા અને બૌદ્ધિકોની જેમ જ એ વખતે ભાગલાની સાથે સાથે કટ્ટરવાદી મુસલમાનોને ઉશ્કેરવાની નીતિ અપનાવી. પરિણામે પૂર્વબંગાળને દારુલ ઇસ્લામ બનાવવાની મુસ્લિમોની મહત્ત્વાકાંક્ષા ભડકી ઊઠી. ‘જેહાદ’ની ઘોષણા કરી દેવામાં આવી. હિન્દુઓ પર આક્રમણ કરવામાં આવ્યાં, હિન્દુ મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યા, મંદિરોને અપવિત્ર કરવામાં આવ્યાં અને હિન્દુઓની સંપત્તિની હોળી કરવામાં આવી. બંગાળમાં ચારેબાજુ હોળી ઘઘકતી રહી. અંગ્રેજ અધિકારીઓ એને વધુ ને વધુ ઉશ્કેરતા રહ્યા. છતાં બંગાળના ભાગલાનો પ્રચંડ વિરોધ થયો. ભાગલા વિરોધી આંદોલનનો એટલો પ્રભાવ પડ્યો કે મુસલમાનોના એક બહુ જ મોટા વર્ગે એમાં સહકાર આપ્યો અને સરકારી નીતિનો વિરોધ કર્યો. 1906માં નવાબ સલીમુલ્લા ખાનના જ ભાઈ નવાબજાદા ખ્વાજા અતીકુલ્લાએ કૉંગ્રેસના મંચ પર આવીને ઘોષણા કરી, ‘પહેલાં તો હું આપને આ વાત કહી દઉં કે એ વાત સાચી નથી કે પૂર્વ બંગાળના મુસલમાન બંગાળના ભાગલાના ટેકેદાર છે. સાચી વાત એ છે કે કેવળ થોડાક જ પ્રમુખ મુસલમાન એવા છે જેમણે પોતાનો સ્વાર્થ સાધવા માટે આ કાર્યને ટેકો આપ્યો છે.’
શતાબ્દીના અંતે પોતાના ભારત-પ્રવાસ બાદ લખેલા એક પુસ્તકમાં રેમ્સે મૈકડોનાલ્ડએ કહ્યું છે, ‘ભાગલા માત્ર એક ભયંકર ભૂલ ન હતી, આ એક ખટલો માંડી શકાય એવો અપરાધ છે… આ એક એવા ભાગલા છે જેનું ઔચિત્ય ન તો વહીવટી સુવિધા કરી શકે છે, ન તો ઐતિહાસિક પરંપરા કે સામાન્ય દીર્ઘદ્રષ્ટિ. તેમણે (લોર્ડ કર્ઝને) કોઇપણ જાતના કારણ વિના જ બંગાળી ભાષી લોકોને એકબીજાથી અલગ કરી દીધા. ઉપરાંત ભાગલાની સાથે અનેક વહિવટી અને કાયદાકીય કાર્યો જોડાયા જેણે સરકારને હિન્દુઓના વિરોધ સામે લાવીને ઊભી કરી દીધી. હિન્દુઓને લાગ્યું કે આપણું વહિવટી તંત્ર એમને ન્યાય આપવાના બદલે મોં ફેરવી લીધું છે. મુસલમાન ઘરના છાપરાં પરથી મારો મારોના નારા લગાવે તો પણ એમને ચેતવણી સુધ્ધાં અપાતી નહિ; જ્યારે હિન્દુ પોતાની ફરિયાદો માટે ગણગણાટ પણ કરે તો એમને અપરાધી માની લેવામાં આવે છે.’
લોર્ડ મિન્ટોએ સુરેન્દ્રનાથ બેનરજીને વ્યક્તિગત વાતચીતમાં કહ્યું હતું : ‘જેવી રીતે આપના પ્રાંતના ભાગલા કરવામાં આવ્યા છે, એવી જ રીતે મારા દેશના ભાગલા કરવામાં આવ્યા હોત તો મને પણ આપના જેવી જ અનુભૂતિ થઇ હોત.’ મોર્લેને પણ ખાતરી થઇ ગઇ હતી કે બંગાળના ભાગલા અયોગ્ય હતા. હાઉસ ઓફ કોમર્સમાં તેની ટીકા કરતા તેમણે કહ્યું હતું: ‘આ એક એવું કામ છે જે ચોક્કસપણે બહુમતી સંબંધિત બહુમતી લોકોની ઇચ્છા વિરુદ્ધનું હતું.’ પરંતુ ‘તીર કમાનમાંથી છૂટી ગયું છે’ એવી માનસિકતાથી હવે આમાં કોઇ સુધારો અથવા ફેરવિચારણા કરવા અંગ્રેજો તૈયાર નહોતા. આનાથી મોટો પાખંડ બીજો કયો હોઇ શકે?
બ્રિટિશ સામ્રાજ્યવાદીઓના આ પડકારને રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત બંગાળીઓએ ઉપાડી લીધો અને ઘોષણા કરી કે ‘આ વછૂટેલું બાણ પણ પાછું આવે એવો દિવસ જરુર આવશે.’
બંગાળીઓએ 16 ઑક્ટોબર, 1905ના ભાગલા દિવસને રક્ષાબંધન દિવસ તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો. પચાસ હજારથી પણ વધુ લોકો ગંગાસ્નાન કરીને મહાન સંકલ્પ માટે બારીસાલમાં એકઠા થયા. ‘વંદે માતરમ્’ના ગગનભેદી જયઘોષ ચારે દિશાઓમાં ગૂંજી ઊઠ્યા. રવીન્દ્રનાથ ટાગોરે અખંડ બંગાળના લક્ષ્યને પૂર્ણ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી. અંગ્રેજોની દ્રષ્ટિએ આ ખુલ્લો દેશદ્રોહ હતો. નવા રચાયેલા પ્રાંતના લેફ્ટેનન્ટ ગવર્નર સર બૈમફિલ્ડે ફુલરે રાષ્ટ્રભક્તિની જ્વાળા શાંત કરવા માટે તરત જ સૈનિક ટુકડીઓ મોકલી. ફૂલર મુસ્લિમ તુષ્ટિકરણનો જોરદાર સમર્થક હતો. એકવાર એણે કહ્યું હતું: ‘મુસલમાન અને હિન્દુ એ હિન્દુ પુરાણકથાઓમાં આવતી બે રાણીઓ છે, એક માનીતિ અને બીજી અણમાનીતિ. એણે આ જ આધાર પર મુસલમાનોની કાનભંભેરણી શરુ કરી.
હિન્દુઓ પર કરાયેલા અત્યાચારો અને સૈનિકો દ્વારા હિન્દુ સ્ત્રીઓ પર કરાયેલા બળાત્કારોએ બંગાળી જ્વાળાને હજી વધુ ભડકાવી મૂકી. ‘વંદે માતરમ્’નો જયઘોષ બંગાળની સરહદો ઓળંગીને સમગ્ર રાષ્ટ્ર માટે સંઘર્ષનો નારો બની ગયો. ખુદીરામ બોઝ જેવા 16 વર્ષના ક્રાંતિવીરોએ અંગ્રેજોની હાલત બગાડી નાખી. દેશ વ્યાપી આંદોલનના કર્ણધાર ‘લાલ, બાલ અને પાલ’ની ત્રિપુટી અને ક્રાંતિકારીઓ દ્રારા અંગ્રેજ અધિકારીઓ પર ફેંકવામાં આવેલા બોંબને કારણે અંગ્રેજોની ઊંઘ હરામ થઈ ગઈ. ઇંગ્લેન્ડના સમ્રાટ જ્યોર્જ પાંચમા ગભરાઈને દિલ્હી દોડી આવ્યા અને 12 ડિસેમ્બર, 1911ના દિવસે એક ખાસ ‘દરબાર’માં એમણે ઘોષણા કરી કે બંગાળના ભાગલા રદ કરી દેવામાં આવ્યા છે. આમ પહેલી જ વખત રાષ્ટ્રવાદી શક્તિઓએ બ્રિટિશ સામ્રાજ્યવાદીઓની ભાગલા પાડતી ચાલબાજીઓને સજ્જડ પરાજય આપ્યો હતો.
૧૮૫૭ના સંગ્રામ પછી કદાચ રાષ્ટ્રીય આત્મશક્તિનો પરિચય કરાવનારો સૌથી પ્રભાવી અને સફળ પ્રયાસ હતો. એનો રાષ્ટ્રના માનસ પર ગજબનો પ્રભાવ પડ્યો. દેશની પ્રજાને લાગ્યું કે સંગઠિત શક્તિના આધારે અંગ્રેજ સલ્તનતને પણ ઝૂકાવી શકાય છે. બંગાળની આ આ રોમાંચકારી ઘટનાએ સમગ્ર દેશને એક દિશા આપી. ધીરે ધીરે દેશભરમાં સ્વાધીનતા થવા માટેની ચિનગારીએ ભીષણ અગ્નિનું રુપ પકડવા લાગ્યું…


ક્રમશ: ©kishormakwana


Spread the love