ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 4
ભારતના ભાગલા કેવી રીતે થયા ? ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ devlipinews.comપર દર સોમવાર, બુધવાર તથા શુક્રવારે વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ ચાર…..
અનેક પ્રશ્નો છે જે 14-15 ઑગસ્ટ- ભાગલાની કાળરાત્રિના ગર્ભમાંથી પેદા થયા…દેશભરમાં એકતરફ મુસ્લિમ લીગે પાકિસ્તાન માટે લોહિયાળ જંગ ખેલવાની તૈયારીઓ શરુ કરી દીધી હતી, બીજી તરફ કોંગ્રેસે દેશની પ્રજાને ભરોસો આપ્યો હતો કે કોઇપણ સ્થિતિમાં દેશના ભાગલા નહીં થવા દઇએ. આવા માહોલમાં જાન્યુઆરી 1946માં નિર્ણાયક એવી મહાચૂંટણીઓ થઇ. બધાને ખબર હતી કે એનાં પરિણામ દેશના ભાવિ રાજકીય જોડાણ માટે ખૂબ મહત્વના પુરવાર થવાના છે. ત્યાં સુધીમાં એક વાત એ પણ લોકોને સારી રીતે સમજાઇ ગઇ હતી કે અંગ્રેજોએ ભારત છોડવા નિર્ણય કરી લીધો છે. આથી દરેક વિચારશીલ ભારતીયના મનમાં એક પ્રશ્ન ઘૂમરાઇ રહ્યો હતો કે ‘અંગ્રેજોના ગયા પછી શું દેશ અખંડ રહી શકશે કે એના ભાગલા પડશે ?
બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ મેદાનમાં હતા. લીગે મુસ્લિમ મતદારો સમક્ષ અલગ પાકિસ્તાનનો નારો લગાવ્યો. બીજી બાજુ કોંગ્રેસે દેશની અખંડતાના રક્ષણ માટે રાષ્ટ્રનો આદેશ માંગ્યો. લીગના ઉમેદવારોનો મુસ્લિમ બહુમતી હતી ત્યાં ભારે બહુમતીથી વિજયી થયો. બીજી બાજુ હિન્દુ મતદારો એ માત્ર કોંગ્રેસને મત આપ્યા. હિન્દુઓએ કોંગ્રેસની એ પ્રતિજ્ઞા પર વિશ્વાસ રાખ્યો જેમાં તેણે દેશની અખંડિતતા જાળવી રાખવાનું પ્રજાને વચન આપ્યું હતું. કોંગ્રેસના વિજયથી પ્રજાને ભારે રાહત થઇ. પરંતુ નવા વાઇસરૉય લૉર્ડ માઉંન્ટબેટને 3 જૂન, 1947 ના દિવસે સત્તાબદલાની યોજના જાહેર કરી ત્યારે લોકોના માથે જાણે વીજળી પડી. દેશભરમાં સન્નાટો વ્યાપી ગયો, કારણ કે કોંગ્રેસ દ્વારા મંજૂર રખાયેલી આ યોજનામાં ભારતના ભાગલાની અને નવા પાકિસ્તાનની રચનાની વ્યવસ્થા હતી.
ગાંધીજીનું સપનું થયું ખંડિત
લોકો હજીય એ માનવા તૈયાર જ નો’તા કે કોંગ્રેસ મુસ્લિમ લીગ અને અંગ્રેજોની સામે ઝૂકી જશે. પરંતુ 15 જૂને પ્રજાની રહી સહી આશા પણ સમાપ્ત થઇ ગઇ. એ દિવસે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ એ વિભાજન-યોજના પર મંજૂરીની મહોર મારી દીધી. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા પોતાની પવિત્ર પ્રતિજ્ઞાથી વિમુખ થઇ ગયા હતા. લોકોને અપાયેલા આશ્વાસનો પણ ઠાલા આશ્વાસન રહી ગયા. પ્રજા સાથે કોન્ગ્રેસે છળ કર્યું. 14 અને 15 ઑગસ્ટ, 1947ની મધરાતે શું થયું ? જે કંઇ થયું, તે રાષ્ટ્ર સાથે નર્યો વિશ્વાસઘાત હતો. જે સ્વાધીનતા-સંગ્રામમાં અખંડ ભારતના સ્વપ્ન લઇને કૂદી પડ્યા હતા તેવા અગણિત સેનાનીઓ અને હુતાત્માઓનાં સ્વપ્નો સાથે વિશ્વાસઘાત હતો. ગાંધીજીએ સ્વયં આ વાતનો સ્વીકાર કર્યો. એમનું હૃદય આ મર્મભેદી ઘાથી લાેહીલૂહાણ થઇ ગયું. પાકિસ્તાનમાં ભારતના રાજદૂત તરીકે કરાંચી જતા પહેલા શ્રી શ્રીપ્રકાશ ગાંધીજીને મળ્યાં હતાં. એ સમયે ગાંધીજીની વાણી રૂંધાઇ ગઇ હતી અને એમની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા હતાં.એમણે કહ્યું હતું, ‘મારા જીવનનું સપનું ટૂટી ગયું છે. મારા તો જીવનનું ધ્યેય જ ધૂળ ભેગું થઇ ગયું.’
બધા રાજકીય નેતાઓ દ્વારા વિભાજન-યોજના સ્વીકારી લેવાની ઘોષણા કરવામાં આવી ત્યારે તેમણે વ્યથિત થઇને કહ્યું હતું, ‘પચાસ વર્ષની તપસ્યા પર પાણી ફેરવી દેવાયું છે. મને તો માત્ર એક જ વસ્તુ દેખાઇ રહી છે, અને તે છે લપકતી જ્વાળાઓ અને લોહીની નદીઓ જેનો અર્થ છે – સર્વનાશ !’
વિભાજનથી માત્ર ગાંધીજી અને અસંખ્ય અન્ય સેનાનીઓ તથા હુતાત્માઓનું સ્વપ્ન જ ધૂળ ભેગું ન હતું થયું, પરંતુ એથીય કંઇક ઉચ્ચ ભાવનાને વિભાજને સમાપ્ત કરી લીધી હતી. આ ધરતીના કણ કણ માટે પવિત્ર ભાવ હતો. અંતરાત્માની ગહન કંદરાઓમાં ભક્તિભાવ ગૂંજતો હતો, રાષ્ટ્રના રૂંવે રૂંવે પવિત્રતાનો વણાયેલો હતો. કોણ જાણે કેટલાય ઋષિ મુનિઓએ, કવિઓએ, મનિષીઓએ, દ્રષ્ટાઓએ વૈદિક કાળથી લઇને આજ સુધી રાષ્ટ્રના માનસ-પટ પર દિવ્ય ભારતમાતાના આ અખંડ, એક-એકાત્મ-એકરુપ અને અવિભાજ્ય રૂપની દિવ્ય પ્રતિષ્ઠા કરી હતી. એમની દ્રષ્ટિમાં ભારત માત્ર માટીનો કોઇ પિંડ ન હતો, તે દિવ્ય માતૃભૂમિ હતી, પુણ્યભૂમિ હતી, ધર્મભૂમિ હતી, દેવભૂમિ હતી, કર્મભૂમિ હતી, અને એ સૌના ઉદ્દાત રૂપનું પ્રતિક હતી એક વિરાટ ભારતમાતા. બંકિમચંદ્રની દ્રષ્ટીમાં એમનું ત્રિવિધ સ્વરૂપ હતું સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાનું–રવીન્દ્રનાથ ટાગોરની કલ્પનામાં તે દેવી ભુવન મનમોહિની હતી. સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિમાં તે ૩૩ કોટી દેવી-દેવતાઓની મા હતી. ગુરુજી ગોળવલકરેની દ્રષ્ટિમાં તે મમતામયી માતા, રક્ષક પિતા અને આધ્યાત્મિક ગુરુની ત્રિવેણી હતી. ભારતની અખંડતા એની પ્રકૃતિને-એના સ્વભાવને એટલી અનુકૂળ છે, એનાં મૂળિયાં એટલા ઊંડા છે કે વાસ્તવમાં એને એના રાષ્ટ્રીય આત્માથી અલગ કરી શકાય નહિં. રાજકીય સ્વાર્થ-સિધ્ધિ માટે એને દાવ પર ન લગાવી શકાય.
દેશના આત્માની નિર્મમતાપૂર્વક હત્યા
શતાબ્દીઓ ચાલી આવતી આ રાષ્ટ્રીય ભાવનાની, માતૃત્વના આ પ્રાણોથી પણ અદકેરા સ્વરૂપના 14-15 ઑગસ્ટ, 1947 ની રાતે ધજાગરા ઉડાડી દેવામા આવ્યા. એની નિર્મમતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી. જે. રૈમ્સે મેક્ડોનાલ્ડ નામના એક અંગ્રેજે, જે ક્યારેક બ્રિટનના વડાપ્રધાન હતા, લખ્યું છે, “ભલે જે પણ હોય, હિન્દુ પોતાની પરંપરા અને પોતાના ધર્મ પ્રમાણે ભારતને ન કેવળ એક સાર્વભૌમ શાસક હેઠળ એક રાજકીય એકમ માને છે, બલકે પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિનું સાકાર મંદિર અને તેથીય આગળ વધીને દૈવીમાનું રૂપ માને છે. ભારત અને હિન્દુત્વ એકબીજા સાથે એવા જોડાયેલા છે. જાણે શરીર સાથે આત્મા, રાષ્ટ્રીયતાની વ્યાખ્યા કરવી, એની પરખ કરવી અને એને સાબિત કરવી એ એક અઘરું કામ છે…પરંતુ જ્યાં સુધી ભારત અને આર્યપુત્રનો સંબંધ છે, ચોક્કસપણે એણે એનું રૂપ નિશ્વિત કરી દીધું છે. એણે ભારતને પોતાની સંસ્કૃતિનું પ્રતિક માન્યો છે. એણે એને પોતાના આત્મામાં પ્રતિષ્ઠિત કર્યો છે.’
આ મનમંદિરને, આ દિવ્ય માતાને, આ રાષ્ટ્રીય આત્માને 14-15 ઑગસ્ટની અમાસની રાતે કલંકિત કરવામાં આવ્યો. ભારતપુત્રાોના સપનાને રગદોળી નાખવામાં આવ્યા.
ભારતવર્ષના લાખો-કરોડો લાડ્કવાયા લાલ રાતોરાત એક ધર્માંધ, હિન્દુ વિરોધી રાજ્યના આધિપત્ય હેઠળ મુકાઇ ગયા હતા. સિન્ધુ નદી પોતાના કરોડો સંતાનો માટે પરાઇ થઇ ગઇ હતી. અને જે ધરતી પર વેદોની ઋચાઓનું સર્જન થયું હતું એ ધરતી એના કટ્ટર વિરોધીઓને સોંપી દેવામાં આવી હતી. વિભાજન-રેખાથી બંને તરફના કરોડો ભાઇ-બહેનો એકબીજા માટે પરાયા બની ગયા હતા. એ પછી જે ભીષણ નરસંહાર થયો, એમાં લાખો નિર્દોષ લોકો માર્યા ગયા. એમના શરીરો રસ્તાઓ પર રઝળતા રહ્યા. ઘોર અમાનવીય અત્યાચારોનો નગ્ન નાચ થયો. જ્યાં રોજ આરતી થતી એ લાહોર-ઢાકા જેવા અનેક શહેરો-ગામડાઓમાં મંદિર, તીર્થસ્થાન અને બધાં પવિત્ર સ્થળ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. 15 ઑગસ્ટ, 1947નો જ એ દિવસ હતો જેણે આ બર્બર આફત નોતરી હતી. શું એનો અન્ય કોઇ વિકલ્પ હતો ? શું ઇતિહાસમાં એના જેવું કોઇ ઉદાહરણ છે ?
સ્વયં પંડિત નહેરુએ, જેઓ આ ધધકતા સર્વનાશના સાક્ષી હતા, પછી કહ્યું હતું, ‘જો મને પહેલેથી આ ભયાનક પરિણામોની ખબર પડી હોત તો હું કદી પણ ભાગલા માટે તૈયાર થયો ન હોત.’
વર્ષો પહેલાં દેશે ‘નિયતિ સાથે મિલન-પ્રતિજ્ઞા’ કરી હતી. શું એ નિયતિ સાથે આથી વધુ દુ:ખદાયી અન્ય કોઇ મજાક થઇ શકી હોત ખરી ?
આપણા રાષ્ટ્રે ક્યારેય એવું વિચાર્યું હતું કે એને આ પ્રકારની ગતિ મળશે ?
સ્પષ્ટ જ છે કે આટલી મોટી રાષ્ટ્રીય આપત્તિ એકાએક તો આકાશમાંથી ટપકી ન પડે. ઇતિહાસના આવા વિનાશકારી વળાંક કાળના ગર્ભમાં ત્યારે જ આકાર ધરી શકે છે જ્યારે સતત એને અનુકૂળ ખાતર અને પાણી મળતા રહે, તો આ વિષમય બીજ આવ્યા ક્યાંથી ? એ કયા કયા ખલનાયકો હતા જેમણે એ વિષબીજનું વાવેતર કર્યું ? એમણે શું શું ભૂમિકાઓ ભજવી?
આવા અનેક પ્રશ્નો છે જે 14-15 ઑગસ્ટની ભાગલાની કાળરાત્રિના ગર્ભમાંથી પેદા થયા છે.