કેનેડાના સાયબર સિક્યોરિટી સેન્ટર દ્વારા પ્રકાશિત તેના નેશનલ સાયબર થ્રેટ એસેસમેન્ટ 2025-26માં ભારત તરફી હેકટિવિસ્ટ જૂથ પર કેનેડિયન વેબસાઇટ્સ પર સાયબર હુમલાનો આરોપ લગાવ્યો છે.
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વર્તમાન રાજદ્વારી સંકટ વચ્ચે કેનેડાએ ફરીથી આવી કાર્યવાહી કરી છે જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ આવી શકે છે. કેનેડાની સરકારે એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ભારતનું નામ ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાની સાથે “રાજ્ય વિરોધી” ઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.
કેનેડા સરકારે દેશના સાયબર સિક્યોરિટી સેન્ટર દ્વારા પ્રકાશિત તેના નેશનલ સાયબર થ્રેટ એસેસમેન્ટ 2025-2026માં ભારતને પ્રથમ વખત “વિરોધી” તરીકે ચિહ્નિત કર્યું છે. આ રિપોર્ટમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી તણાવ પછી ભારત તરફી હેકટીવિસ્ટ જૂથ પર કેનેડિયન વેબસાઇટ્સ પર સાયબર હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કેનેડા સતત લગાવી રહ્યું છે ભારત પર આરોપ
આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે ઓટ્ટાવાએ કેનેડામાં રહેલા શીખ અલગતાવાદીઓને નિશાન બનાવવાની કાર્યવાહીમાં નવી દિલ્હી સામેલ હોવાનો વારંવાર આરોપ લગાવવાને કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો તૂટી ગયા છે. ભારતે દર વખતે કેનેડાના આરોપોને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યા છે. સંબંધોમાં કડવાશને કારણે બંને દેશોએ પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા છે. હવે આવી સ્થિતિમાં, આ સપ્તાહની શરૂઆતમાં કેનેડાના સાયબર સિક્યોરિટી સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં ભારતને ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાની સાથે સૂચિબદ્ધ કરવાથી સંબંધોમાં તણાવ વધવાની સંભાવાનાઓ છે.
તાજેતરમાં કેનેડાના એક અધિકારીએ ભારત પર આરોપ લગાવ્યો હતો
આ અહેવાલમાં, ભારતના સંદર્ભમાં, એવું કહેવામાં આવ્યું છે કે, અમારું મૂલ્યાંકન એ છે કે જે લોકો ભારત સરકાર દ્વારા પ્રાયોજિત સાયબર હુમલાનો ડર ઉભો કરે છે તેઓ જાસૂસીના હેતુથી કેનેડા સરકારના નેટવર્ક સામે સાયબર હુમલાઓ કરી શકે છે. આગળ કહેવાયું છે કે “અમે માનીએ છીએ કે કેનેડા અને ભારત વચ્ચેના સત્તાવાર દ્વિપક્ષીય સંબંધો કેનેડા સામે ભારત સરકાર દ્વારા પ્રાયોજિત સાયબર હુમલના ખતરાને અટકાવશે.” તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં, કેનેડાના કોમ્યુનિકેશન્સ સિક્યોરિટી ફાઉન્ડેશનના વડા કેરોલિન ઝેવિયરે કહ્યું, “તે સ્પષ્ટ છે કે અમે ભારતને ઉભરતા સાયબર હુમલાના ખતરાના નાયક તરીકે જોઈએ છીએ.”
અનેક વેબસાઈટ હેક કરવાનો પણ આરોપ લગાવાયો
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારત સાથે કથિત રીતે જોડાયેલા હેકટીવિસ્ટ જૂથે ગયા વર્ષે ભારત અને કેનેડા વચ્ચે ઉભા થયેલા રાજદ્વારી તણાવની શરૂઆત પછી કેનેડિયન વેબસાઇટ્સ પર સાયબર હુમલા કર્યા હતા. રાજદ્વારી તણાવ હેકટીવિસ્ટ પ્રવૃત્તિને પ્રેરણા આપે છે. કેનેડાએ ભારત પર કેનેડિયન નાગરિકની હત્યામાં સામેલ હોવાનો આરોપ મૂક્યા પછી, એક ભારત તરફી હેકટીવિસ્ટ જૂથે દાવો કર્યો હતો કે તેણે કેનેડાની સશસ્ત્ર દળોની વેબસાઇટ સહિત કેનેડામાંની વેબસાઇટ્સ પર ટૂંકા DDoS હુમલાઓ શરૂ કર્યા હતા.