રમત મંત્રાલયે નવા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે. આ સાથે સંજય સિંહ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો પર પણ રોક લગાવી દેવામાં આવી છે. રમતગમત મંત્રાલયે આગામી આદેશ સુધી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
રમતગમત મંત્રાલયે રવિવારે એક મોટો નિર્ણય લેતા સંજય સિંહના નેતૃત્વમાં તાજેતરમાં ચૂંટાયેલા નવા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે. સંજય સિંહને ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના માનવામાં આવે છે. તેઓ ગુરુવારે જ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. રેસલિંગ એસોસિએશન માટે યોજાયેલી ચૂંટણીમાં પહેલા ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા અને 2019થી WFIની છેલ્લે કાઉન્સીલનો હિસ્સો રહેલા સંજયસિંહને 47માંથી 40 વોટ મળ્યા હતા. જ્યારે તેમના હરીફ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા તથા બ્રિજ ભૂષણ પર જે કુસ્તીબાજો જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો તેમનું સમર્થન હતું તેવા અનિતા શિયોરાનને માત્ર 7 વોટ મળ્યા હતા.
સંજય સિંહની જીત બાદ સાક્ષી મલિકે રેસલિંગમાંથી સન્યાસ લીધો હતો
સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ વિવાદ સતત વધી રહ્યો હતો. રેસલર સાક્ષી મલિકે સંજય સિંહને બ્રિજભૂષણ સિંહની નજીકના વ્યક્તિ ગણાવીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. સાક્ષી મલિકે કહ્યું હતું કે, કુસ્તીબાજોની લડાઈ બ્રિજ ભૂષણ સામે હતી. અમે ઇચ્છીએ છીએ કે ફેડરેશન પરથી બ્રિજભૂષણનું આધિપત્ય ખતમ થાય. અમે સરકાર સાથે પણ ચર્ચા કરી હતી કે કોઈ મહિલાને મહાસંઘની અધ્યક્ષ બનાવવામાં આવે જેથી મહિલા કુસ્તીબાજોના શોષણની ફરિયાદો ન આવે તે માટે સરકારે અમારી માંગણી સ્વીકારવાની ખાતરી પણ આપી હતી પરંતુ પરિણામ સૌની સામે છે કે બ્રિજ ભૂષણના જમણા હાથ સમાન અને બિઝનેસ પાર્ટનર ફેડરેશનના પ્રમુખ બની ગયા.
બજરંગ પૂનિયાએ લખ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર
સાક્ષી મલિકની નિવૃત્તિની જાહેરાત બાદ બજરંગ પુનિયાએ પણ સંજય સિંહના પ્રમુખ બનવાના વિરોધમાં તેમનું પદ્મશ્રી સન્માન પરત કરવાનો નિર્ણય લીધો હતો. બજરંગ પુનિયાએ પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે બ્રિજ ભૂષણ વિરુદ્ધ મોરચો ખોલનારા કુસ્તીબાજો સાક્ષી મલિક અને વિનેશ ફોગટ સાથે બજરંગ પુનિયા પણ સામેલ હતા. આ ત્રણેય કુસ્તીબાજોના નેતૃત્વમાં ઘણા કુસ્તીબાજોએ જંતર-મંતર પર બ્રિજ ભૂષણનો વિરોધ કર્યો હતો. આ રેસલર્સે બ્રિજ ભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસે આ મુદ્દે FIR પણ નોંધી છે. રમતગમત મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજોએ તેમનું પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. રમતગમત મંત્રાલયે રેસલિંગ એસોસિએશનના સમગ્ર યુનિટને વિસર્જન કરી દીધું હતું. આ પછી કુસ્તી સંઘની ચૂંટણી યોજાઈ હતી. ખેલ મંત્રાલયે ખેલાડીઓને ખાતરી આપી હતી કે બ્રિજ ભૂષણના પરિવારમાંથી કોઈ પણ ચૂંટણી લડશે નહીં.
કુશ્તી સંઘ શા માટે સસ્પેન્ડ કરાયું ?
નવા રેસલિંગ એસોસિએશને તાજેતરમાં જ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ ગોંડામાં યોજવાની જાહેરાત કરી હતી. રમતગમત મંત્રાલયે કહ્યું છે કે રેસલિંગ એસોસિએશનના આ નિર્ણય લેવામાં WFI બંધારણની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નથી.રમતગમત મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, WFIની નવી ચૂંટાયેલી એક્ઝિક્યુટિવ બોડી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો WFI અને નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કોડની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આ પ્રકારના નિર્ણયો કારોબારી સમિતિ દ્વારા લેવામાં આવે છે, જેને પહેલાં કાર્યસૂચિને વિચારણા માટે મૂકવામાં આવે તે જરૂરી છે. રેસલિંગ એસોસિએશનના આ નિર્ણયોમાં નવા પ્રમુખની મનસ્વીતા દેખાઈ રહી છે, જે સિદ્ધાંતોની વિરુદ્ધ છે. રમતવીરો, હિતધારકો અને જનતા વચ્ચે વિશ્વાસ કેળવવો મહત્વપૂર્ણ છે.
રમતગમત મંત્રાલયે કહ્યું, એવું લાગે છે કે નવું કુસ્તી એસોસિએશન અગાઉના પદાધિકારી જેમની સામે જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો સંપૂર્ણપણે તેમના નિયંત્રણ હેઠળ છે, રમતના નિયમોની સંપૂર્ણ અવગણના કરવામાં આવી હતી. એટલું જ નહીં, મંત્રાલયે કહ્યું કે, ફેડરેશનનું કામકાજ પૂર્વ પદાધિકારીઓ દ્વારા નિયંત્રિત સંકુલમાંથી ચલાવવામાં આવે છે. આ સંકુલમાં ખેલાડીઓની કથિત જાતીય સતામણીના આરોપો લગાવાયા હતા અને હાલમાં કોર્ટ આ કેસની સુનાવણી ચાલી રહી છે.