- ગુજરાત કોંગ્રેસે મહાનગરપાલિકા ચૂંટણી માટે શપથપત્ર જાહેર કર્યું
- કોગ્રેસે ચૂંટણી ઢંઢેરાને શપથપત્ર ગણાવ્યો
- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ ઉપર આકરા પ્રહારો
પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. 21 મી ફેબ્રુઆરીએ ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો શપથપત્રના નામથી જાહેર કર્યો છે. શપથપત્ર જાહેર કરતી વખતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સત્તાધારી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું કે મહાનગરપાલિકાઓમાં વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં સામાન્ય નાગરિકોને રોડ રસ્તા, ગટર વ્યવસ્થા, પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો મળતી નથી. સામાન્ય નાગરિકોને અનેક ફરિયાદો કરવા છતાં પ્રાથમિક જરૂરિયાતો માટે વલખાં મારવા પડે છે. નાગરિકોને ખુબ વધુ ટેક્ષ ભરવા છતાં સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી નથી. અમિત ચાવડાએ ભાજપ ઉપર આગળ પ્રહાર કરતા જણાવ્યું કે અમને ભાજપની જેમ ખોટા વાયદાઓ કે ભાષણો કરતા આવડતું નથી અને તેથી જ લોકોના પ્રશ્નોનું સમાધાન કેવી રીતે થાય તે માટે કોંગ્રેસ શપથપત્ર લઈને આવી છે.
શપથપત્રમાં શું ખાસ લખવામાં આવ્યું છે
કોંગ્રસના શપથપત્રમાં શું ખાસ લખવામાં આવ્યું છે એ જણાવતાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે આ સંકલ્પપત્ર અમારું વચન નહીં, પરંતુ શપથપત્ર છે. શપથપત્રમાં લખવામાં આવ્યું છે કે, “હું કોંગ્રેસના જવાબદાર કાર્યકર અને વચનના પાક્કા ગુજરાતી તરીકે આજે શપથ લઉં છું કે, કોર્પોરેશનમાં સત્તામાં આવતાં જ આ પત્રક માં લખેલા એક એક શબ્દનું પાલન કરીશ. બધા જ શહેરીજનોને સરકારની મફત સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે”
કોંગ્રસના શપથપત્રમાં કયા વાયદાઓ કરવામાં આવ્યા
– શહેરીજનોને સરકારની મફત સેવાઓ, સુવિધાઓ, યોજનાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે
– સત્તામાં આવતાવેંત 24 કલાકમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની પ્રથા નાબૂૂદ કરવાની શરૂઆત કરીશું.
– સત્તામાં આવતાવેંત 24 કલાકમાં કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
– આકસ્મિક દુર્ઘટના અને ફાયર ઈમરજન્સી માટે હેલિકોપ્ટર દ્વારા પવનપુત્ર એર ઇમર્જન્સી સેવા શરૂ કરીશું.
– શહેરના જાહેર માર્ગો ઉપર એર પ્યુરીફાયર લગાવીશું.
– અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ આપીશું.
– સત્તામાં આવ્યાના એક અઠવાડિયામાં શહેરના તૂટેલા રસ્તાઓનું પુનઃ નિર્માણ ચાલુ કરવામાં આવશે.
– કોરોના મહામારી કાળમાં આર્થિક નુક્સાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું.
– રહેઠાણ વેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું.
– સમગ્ર શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે નિષ્ણાત લોકોની મદદ લઇ વિશ્વસ્તરીય સર્વિસ કોરિડોર બનાવીશું.
– બધા જ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહન પાર્કીંગ આપીશું.
– તમામ શહેરોમાં ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરવામાં આવશે.