- સાબરમતીમાં નિધિ સમર્પણ માટે વાલ્મિકી સમાજ દ્વારા કાર્યક્રમ યોજાયો
- વાલ્મીકિ સમાજના પૂજ્ય સંત ભગવાનદાસ બાપુએ આશીર્વચન આપ્યા.
- સામાજિક સમરસતાના વાતાવરણમાં કાર્યક્રમ યોજાયો
શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
15 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, આ અભિયાન અંતર્ગત અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં મંગળવારે ગુજરાતના વાલ્મિકી સમાજ દ્વારા નિધિ એકત્રીકરણ કરી સમર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદના સાબરમતીમાં આયોજિત અને વાલ્મિકી સમાજના શ્રેષ્ઠીઓ ઘર ઘર સંપર્ક કરીને નિધિ એકત્રિત કરી હતી. વાલ્મિકી સમાજના સંત શ્રી ભગવાનદાસ બાપુ અને વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા ગુજરાત પ્રાંત સંઘચાલકજી ડો.ભરતભાઈ પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રીય મંત્રી અશોકભાઈ રાવલને એકત્રિત થયેલી નિધિ અર્પણ કરવામાં આવી હતી.
પૂજ્ય સંત શ્રી ભગવાનદાસજી બાપુએ ઉપસ્થિત રહી આશિર્વચન આપ્યા
વાલ્મિકી સમાજ વતી પૂજ્ય ભગવાનદાસ બાપુ(ગુરુગાદી અખાજ, મહેસાણા ) એ કહ્યું હતું કે આપણે રામાયણના રચયિતા ભગવાન વાલ્મીકીજીને માનીએ છીએ અને રામ મંદિરનો શિલાન્યાસ પણ આપણા દલિત સમાજના અગ્રણી કામેશ્વર ચોપાલજીના હસ્તે થયો હતો. ગુજરાતના દલિત સમાજના આસ્થા સ્થાનોના પાણી અને માટી અયોધ્યા રામ મંદિર નિર્માણમાં મોકલવામાં આવી હતી જે સમાજ માટે ગર્વની વાત છે. આજે આપણા વાલ્મિકી સમાજે નિધિ એકત્રિત કરી જે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિધિ અભિયાનના પ્રમુખ વ્યક્તિઓ આપણું સમર્પણ આવીને સ્વીકાર્યું. આજે પૂરા સમાજમાં ઉત્સાહનું વાતાવરણ છે. શ્રીરામ મંદિરના માધ્યમથી હિન્દુ સમાજમાં સમરસતા અને એકતાનું વાતાવરણ ઊભું થશે. આપણે બધા હિન્દુઓ હિન્દુ સમાજની એકતા અને સમરસતા માટે એક સાથે મળીને કામ કરવું જોઈએ.
કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ જોડાયા
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના વ્યક્તિઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા સંઘના, વીએચપીના પદાધિકારીઓ પણ જોડાયા હતા. તેમાં સંઘના ગુજરાત પ્રાંતના શૈલેષભાઈ પટેલ, ડૉ. વિજયભાઈ ઝાલા ડૉ. હેમાંગભાઈ પુરોહિત, યોગેશભાઈ પારેખ અને સામાજિક સમરસતા પ્રાંતના રસેશભાઈ રાવલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્વહિન્દુ પરિષદ તરફથી સાહિત્ય કૅલેન્ડર રજૂ કરવામાં આવ્યું. સામાજિક નેતાઓ સાથે હિન્દુ સમાજની એકતા- સમરસતા જળવાઈ રહે તે માટે સામૂહિક પ્રયત્નો કરવાની ચર્ચા થઈ અને બધા લોકો સાથે મળીને અલ્પાહાર લીધો. અને જય શ્રીરામ જય વાલ્મિકીજીનો જયધોષ કરીને કાર્યક્રમ સમાપ્ત થયો હતો.