• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 48
• કવિ મહંમદ ઇકબાલે અલગ ઇસ્લામિસ્તાનનો પાયો નાખ્યો
- ડો. આંબેડકર કોન્ગ્રેસના ‘નહેરુ અહેવાલ’ થી સખત નારાજ હતા. એમણે ‘બહિષ્કૃત ભારત’માં આ અહેવાલની ઝાટકણી કાઢતો ખૂબ લાંબો તંત્રીલેખ લખ્યો. તેમાં તેમણે સ્પષ્ટ લખ્યું કે મુસલમાનો ઇસ્લામી દેશને ભારત પર આક્રમણ કરવા નિમંત્રણ આપશે. ડો. આંબેડકરે નહેરુ રીપોર્ટમાં મુસલમાનોની માંગણી સ્વીકારી એની પણ આકરા શબ્દોમાં ટીકા કરી. ડો. આંબેડકર લખે છે: ‘મારી વાતથી મુસલમાનોનો પણ મારા પર રોષ ઉતરશે તેની મને પૂરેપૂરી ખબર છે. પરંતુ જેમાં દેશનું અહિત છે તેમાં આપણું (અછૂતો) પણ અહિત સમાયેલું છે, એવી મારી ભાવનાને કારણે મેં મારા માથે આ જોખમ વહોરી લીધું છે.’
- કૉંગ્રેસનો આ પ્રયાસ ફરી એકવાર ‘મૃગજળ’ સાબિત થયો. કૉંગ્રેસ મુસલમાનોને રીઝવવામાં સદંતર નિષ્ફળ રહી. ઝીણાએ બહિષ્કાર કર્યો અને છતાંય કૉંગ્રેસે સિંધને મુંબઈથી અલગ કરવાનું સ્વીકારવું પડ્યું. મુસ્લિમો માટે આ એક નિર્ણાયક સિદ્ધિ હતી. એમણે કોન્ગ્રેસને ઝૂકાવી દીધી.
- ડો. બાબાસાહેબ આંબેડકર ઇકબાલ વિશે લખે છે: ‘સર મહંમદ ઇકબાલે ભારતના મુસલમાનો સહિત તમામ મુસલમાનોમાં બિનમુસ્લિમ દેશ પ્રત્યેની, માતૃભૂમિ પ્રત્યેની, માતૃભૂમિ જેવા બંધન જેવી રાષ્ટ્રીયતા દ્રઢતાથી વખોડી કાઢી હતી.’
મુસલમાનોએ કૉંગ્રેસની મનોદશા માપી લીધી. કોન્ગ્રેસ હિન્દુ-મુસ્લિમ એકતા માટે મુસલમાનો આગળ ગમે તે હદે ઝૂકવાની છે. એમણે ઇસ્લામના એજન્ડાને અમલમાં લાવવા ઝડપથી કામ કરવાનો નિશ્ચય કરી લીધો. કોન્ગ્રેસને બ્લેકમેઇલ કરી જેટલી ઝૂકાવાય એટલી ઝૂકાવવાનો નક્કી કરી લીધું. ડો. આંબેડકર લખે છે: ‘જેવી અંગ્રેજ સરકારે સાયમન કમિશનની નિયુક્તિની જાહેરાત કરી, તરત જ મુસ્લિમો વધુ માંગણીઓ સાથે આગળ આવ્યા.’
માર્ચ 1927માં 30 અગ્રણી મુસ્લિમ નેતાઓની એક બેઠક ઝીણાના અધ્યક્ષપદે મળી. તેઓ અલગ મતદાર મંડળો છોડી દઈ, અનામત જગ્યાવાળાં સંયુક્ત મતદાર મંડળો સ્વીકારી લેવા તૈયાર થઈ ગયા. પણ…
• સિંધને મુંબઈ પ્રાંતથી અલગ કરી દઇ એને અલગ પ્રાંત બનાવવામાં આવે.
• પશ્ચિમોત્તર સીમા પ્રાંત અને બલૂચિસ્તાનનો દરજ્જો વધારી એમને પૂર્ણ ગવર્નરના પ્રાંત બનાવવામાં આવે.
• પંજાબ અને બંગાળમાં વસતીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે અર્થાત્ આ બે પ્રાંતોમાં મુસલમાનો માટે પૂર્ણ પરિનિયત બહુમતી નક્કી કરી દેવી.
• કેન્દ્રીય પ્રધાનમંડળમાં મુસલમાનની સંખ્યા કુલ સભ્યોની સંખ્યાના 1/3 ભાગ કરતાં ઓછી ન હોવી જોઇએ.
• મુસ્લિમ ધર્મ, સંસ્કૃતિ તથા અંગત કાનૂનનું સંરક્ષણ તથા સરકારી અનુદાન આપવું.
- આવી બીજી અનેક માંગણીઓ કરવામાં આવી હતી. ડો. આંબેડકરના કહેવા મુજબ મુસલમાનોની કેટલીક માંગણી નવી હતી, તો કેટલીક જૂની માંગણીઓ હતી.
કૉંગ્રેસે મુસલમાનોને ખભે ઊચકવાની ઉતાવળમાં આ વાત તરત સ્વીકારી લીધી. આ બાબત દેશના ભવિષ્યને આગમાં ધકેલવા સમાન હતું, પરંતુ કોન્ગ્રેસ હવે મુસલમાનોની દરેક નવી માંગણી સ્વીકારી લેવા પાગલ બની હતી. આ દરમ્યાન લખનૌ કરાર ફાઇલોમાં દબાયેલો પડ્યો હતાે, પરંતુ કૉંગ્રેસે એક નવી ‘શરૂઆત’ કરવાની તૈયારી કરી. મુસ્લિમ સંમેલનના આ 4 સૂત્રી માંગણીને કૉંગ્રેસે 1927માં પૂરેપૂરો ટેકો આપી દીધો. કૉંગ્રેસે મુસ્લિમ નેતાઓના પ્રસ્તાવમાં મુસલમાનોની પાછલા વર્ષોની બીજી માગણીઓને પણ સમાવી લીધી.
કૉંગ્રેસે ખૂબ ઉત્સાહપૂર્વક એના પ્રસ્તાવનો અમલ કર્યો. 1928ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં એક સર્વપક્ષીય સંમેલન બોલાવવામાં આવ્યું. મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક પેટા-સમિતિની રચના કરવામાં આવી. એને ‘સ્વરાજ્ય-સંવિધાન’ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. આ દસ્તાવેજ પ્રસિદ્ધ ‘નહેરુ અહેવાલ’ કે ‘નહેરુ પ્રતિવેદન’કહેવાયો. અહેવાલમાં મુસ્લિમ નેતાઓના સંમેલનના બધા મુખ્ય પ્રસ્તાવોને અનુમોદન આપવામાં આવ્યું, પરંતુ ઝીણાના એક સુધારાને ફગાવી દેવામાં આવ્યો હતો. સંશોધનમાં કેન્દ્રમાં મુસલમાનોને 1/3 પ્રતિનિધિત્વ આપવાનો તથા પ્રાંતોને વધારાની સત્તા આપવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.
ડો. આંબેડકર આ ‘નહેરુ અહેવાલ’ સખત નારાજ હતા. એમણે ‘બહિષ્કૃત ભારત’માં આ અહેવાલની ઝાટકણી કાઢતો ખૂબ લાંબો તંત્રીલેખ લખ્યો. તેમાં તેમણે સ્પષ્ટ લખ્યું કે મુસલમાનો ઇસ્લામી દેશને ભારત પર આક્રમણ કરવા નિમંત્રણ આપશે. ડો. આંબેડકરે નહેરુ રીપોર્ટમાં મુસલમાનોની માંગણી સ્વીકારી એની પણ આકરા શબ્દોમાં ટીકા કરી. ડો. આંબેડકર લખે છે: ‘મારી વાતથી મુસલમાનોનો પણ મારા પર રોષ ઉતરશે તેની મને પૂરેપૂરી ખબર છે. પરંતુ જેમાં દેશનું અહિત છે તેમાં આપણું (અછૂતો) પણ અહિત સમાયેલું છે, એવી મારી ભાવનાને કારણે મેં મારા માથે આ જોખમ વહોરી લીધું છે.’ (‘બહિષ્કૃત ભારત’ તંત્રીલેખ, 18 જાન્યુઆરી 1929)
કૉંગ્રેસનો આ પ્રયાસ ફરી એકવાર ‘મૃગજળ’ સાબિત થયો. કૉંગ્રેસ મુસલમાનોને રીઝવવામાં સદંતર નિષ્ફળ રહી. ઝીણાએ બહિષ્કાર કર્યો અને છતાંય કૉંગ્રેસે સિંધને મુંબઈથી અલગ કરવાનું સ્વીકારવું પડ્યું. મુસ્લિમો માટે આ એક નિર્ણાયક સિદ્ધિ હતી. એમણે કોન્ગ્રેસને ઝૂકાવી દીધી. સિંધ મુંબઈનો ભાગ હોત ત્યાં સુધી મુંબઇ પ્રાંતમાં હિન્દુઓની સંખ્યા મુસલમાનો કરતાં વધુ હોત અને અંગ્રેજોના ગયા પછી પણ સિંધ હિન્દુ બહુમતી પ્રાંતનો એક ભાગ બની રહ્યું હોત. મુસલમાનો એને અલગ મુસ્લિમ પ્રાંત બનાવવાનો દાવો કરી શકે એમ ન હતા. પશ્ચિમોત્તર સીમા પ્રાંત અને બલૂચિસ્તાનનો દરજ્જો વધારી એને કેન્દ્ર શાસિત પ્રદેશોને બદલે ગવર્નરના પ્રાંત બનાવવાની અને ત્યાં ચૂંટાયેલા મંત્રી મંડળ પ્રધાન રચવાનો હેતુ પણ આ જ હતો કે એને પૂરેપૂરા વિકસિત મુસ્લિમ પ્રાંતોનું રૂપ આપી શકાય. કોઈ સમજૂતી થઈ ન હોવા છતાંય કૉંગ્રેસે સિદ્ધાંત તરીકે આ બધી વાતો સ્વીકારી લીધી હતી. મુસલમાનોને ઘણું મળ્યું. એમણે ગુમાવ્યું કશું જ નહિ. એમણે પોતાની કેટલીક મહત્વની માગણીઓને સ્વીકારાવી લીધી.
એકલા સિંધને અલગ પ્રાંત બનાવી કૉંગ્રેસે મોટી ભૂલ કરી. એ વખતે તો અનેક બ્રિટિશ પ્રાંતો કઢંગા હતા અને વહીવટની દ્રષ્ટિએ એમને વધુ પ્રાંતો બનાવી અલગ કરવા જોઈતા હતા. કૉંગ્રેસે કોઈ તર્કબદ્ધ આધાર પર પ્રાંતોની પુનઃ રચનાની માગણી કરવી જોઈતી હતી અને સાંપ્રદાયિક આધાર પર પ્રાંત-રચનાનો વિરોધ કરવો જોઈતો હતો.
અલગ સિંધની માગણીને કૉંગ્રેસે સમર્થન આપ્યું એનાથી ઉત્પન્ન થનાર સંકટને હિન્દુ મહાસભાએ ઓળખી લીધું હતું. સિંધ વિશેના એના ઠરાવમાં એણે કહ્યું હતું : ‘વહીવટી, નાણાકીય તેમજ અન્ય આધારે કોઈ રાજ્યના પ્રદેશની અલગ પ્રાંત તરીકેની રચના કરવાનો નિર્ણય કરવો જોઈએ, નહિ કે કોઈ સમુદાય વિશેષની ત્યાં બહુમતી થાય એના આધારે એની રચના થવી જોઈએ. આ આધાર સંકટોથી ભરપૂર છે તેમજ દેશમાં સ્વસ્થ રાષ્ટ્રવાદના વિકાસમાં નડતરરૂપ છે. આ આધાર હિન્દુ ભારત તેમજ મુસ્લિમ ભારત તરીકે ભારતના ભાગલા પડાવશે.’
મહાસભાએ અલગ મતદાર મંડળો વિરુદ્ધ પણ અવાજ ઊઠાવ્યો હતો. સંયુક્ત મતદાર મંડળોની માગણી કરી હતી. એણે એ પણ માગણી કરી હતી કે બહુમતી માટે અનામત બંધ કરવી જોઇએ તેમજ લઘુમતી સમુદાય માટે પણ આ સવલત મર્યાદિત સમય માટે આપવી જોઇએ. મહાસભાએ કહ્યું કે નોકરીઓમાં પણ કોમી ધોરણે પ્રતિનિધિત્વ અપાવું જોઈએ નહિ. નોકરીઓ માટે ખુલ્લી સ્પર્ધા દ્વારા નક્કી કરેલા યોગ્યતા અને કુશળતાના આધારે પસંદગી કરવી જોઇએ. મુસ્લિમ નેતાઓએ ‘નહેરુ અહેવાલ’ વિરુદ્ધ પગલા ભર્યા. 31 ડિસેમ્બર, 1928ના દિવસે દિલ્હીમાં સર્વપક્ષીય મુસ્લિમ સંમેલન બોલાવ્યું. એમાં ચર્ચા વિચારણા માટે કેટલાક ‘કહેવાતા રાષ્ટ્રવાદી’ મુસલમાનોએ પણ ભાગ લીધો. આગાખાન આ સંમેલનના અધ્યક્ષ હતા. પોતાની કટ્ટરવાદી માનસિક વૈચારિક પરંપરા જાળવી રાખતાં એમણે કહ્યું કે ‘ભારતે એની અખંડિતતા જાળવી રાખવા માટે અંગ્રેજોની જરૂર છે. ભારતના વહીવટમાં હરહંમેશ અંગ્રેજો પ્રમુખ ભૂમિકા ભજવતા રહે એ માટે એમણે પ્રાર્થના કરી. એમણે એવી પણ ઘોષણા કરી કે મુસલમાનો માત્ર એક સમુદાય નથી; પરંતુ એક વિશેષ દ્રષ્ટિએ તેઓ પોતે જ એક રાષ્ટ્ર છે. સંમેલનમાં નહેરુ – અહેવાલ પર આક્ષેપ કરતાં કહ્યું કે એ મુસ્લિમ પ્રસ્તાવની પ્રતિક્રિયામાં હિન્દુ પ્રસ્તાવ છે. એમણે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો, એને ‘ઝીણાની ચૌદ માગણીઓ’ એવું નામ આપ્યું. આ ચૌદ સૂત્રોમાં એમણે અત્યાર સુધીની પાછલી બધી માગણીઓનો સમાવેશ કર્યો એટલું જ નહિ તો બીજી નવી માગણીઓનો પણ સમાવેશ કર્યો. આ માગણીઓ –
• બંધારણ સંધાત્મક હોવું જોઈએ. એમાં પ્રાંતોને પૂરતી સ્વાયત્તતા અને વધારાનીયે સત્તાઓ મળવી જોઇએ.
• કોઇ પણ પ્રધાનમંડળ હોય – કેન્દ્રનું કે પ્રાંતનું – એમાં મુસલમાનોનું પ્રમાણ 1/3 થી ઓછું હોવું જોઇએ નહિ.
• પંજાબ, બંગાળ અને પશ્ચિમોત્તર સીમા પ્રાંતના પ્રદેશોમાં એવી કોઈ પુનઃ રચના થવી ન જોઇએ કે જેથી મુસ્લિમ બહુમતી પર પ્રતિકુળ પ્રભાવ પડે.
સંમેલનમાં નહેરુ – અહેવાલના સંયુક્ત મતદાર મંડળોનો વિરોધ કરવામાં આવ્યો, અને વાત ફરી હતી ત્યાંજ આવીને અટકી. અલગ મતદાર મંડળો પર વાત પુનઃ આવી પહોંચી.
1930માં મુસ્લિમ લીગના અધ્યક્ષ મોહમ્મદ (સારે જહાં સે હિન્દુસ્તા…..વાળા ઇકબાલ) ઇકબાલે સ્વતંત્ર સાર્વભૌમ મુસ્લિમ રાજ્યની માગણી કરી. એમણે આવા મુસ્લિમ રાજ્ય માટે વૈચારિક આધાર આપ્યો. પ્રસિદ્ધ વિદ્વાન અઝીઝ અહમદે કહ્યું, ‘સુરક્ષા અને સર્વશ્રેષ્ઠતાની આ બંધ ગલીમાંથી (મુસલમાનોએ પોતાને લઘુમતી સમાજ માનવાથી બની હતી) કવિ સર મુહમ્મદ ઇકબાલે પોતાની ભાવુક કલ્પનામાંથી માર્ગ કાઢ્યો હતો… એમણે કહ્યું કે ઇસ્લામની મજહબી વ્યવસ્થા અભિન્નપણે એની સમાજ વ્યવસ્થા સાથે જોડાયેલી છે. એકને નકારવાનો અર્થ છે બીજીને પણ નકારવી. આથી મુસલમાનો તો એ વાતની કલ્પના પણ કરી શકતા નથી કે એકતાના ઇસ્લામી સિદ્ધાંતોની અવગણના કરીને ભારતીય રાષ્ટ્રવાદ પર આધારિત કોઈ રાજ્ય વ્યવસ્થા સ્થાપી શકાય.’ (અઝીઝ અહમદ : સ્ટડીઝ ઈન ઇસ્લામિક કલ્ચર ઇન ધ ઇન્ડિયન એન્વિરનમેંટ પૃષ્ઠ: 272-273)
ઈકબાલનો આગ્રહ હતો, ‘રાષ્ટ્રીય વિશિષ્ટતાની વેદી પર એમની એકતામૂલક ઈસ્લામી વિશિષ્ટતાનો ભોગ લેવામાં આવે એવી કોઈ સ્થિતિનો મુસ્લિમો સ્વીકાર કરશે નહિ.’ ભાષણના સમાપનમાં ઇકબાલે કહ્યું, ‘પંજાબ, પશ્ચિમોત્તર સીમા પ્રાંત, સિંધ અને બલૂચિસ્તાનને ભેળવી દઈ એક અલગ રાજ્ય બનાવવું જોઇએ એવું હું તો ઈચ્છું છું. ઓછામાં ઓછું પશ્ચિમોત્તર ભારતના મુસ્લિમો માટે તો મને વિધિનું આ વિધાન જ દેખાય છે. પછી એ બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વશાસન હોય કે બ્રિટિશ સામ્રાજ્ય બહાર, પશ્ચિમોત્તર ભારતમાં એક મુસ્લિમ રાજ્ય બનાવી દેવું જોઇએ.’
ડો. બાબાસાહેબ આંબેડકર ઇકબાલ વિશે લખે છે: ‘સર મહંમદ ઇકબાલે ભારતના મુસલમાનો સહિત તમામ મુસલમાનોમાં બિનમુસ્લિમ દેશ પ્રત્યેની, માતૃભૂમિ પ્રત્યેની, માતૃભૂમિ જેવા બંધન જેવી રાષ્ટ્રીયતા દ્રઢતાથી વખોડી કાઢી હતી.’ બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 390)
ઇકબાલના ભાષણનો ઉલ્લેખ કરી ખલીકુજ્જમાન કહે છે: ‘નવાઈની વાત તો એ છે કે મુસ્લિમ લીગે એના મંચ પરથી આ પ્રકારની ખુલ્લી જાહેરાત કરી હતી તો પણ કોઈએ એના પ્રત્યે ધ્યાન આપ્યું નહિ, અરે ! કોઈએ અલ્હાબાદમાં ઘડાયેલી યોજનાને ટેકો આપતો અધિવેશનમાં કોઈ ઠરાવ પણ રજૂ કર્યો નહીં.’ (ખલીકુજ્જમાન : પાથવે, પૃષ્ઠ: 108-109)
જોગાનુજોગ આ જ વર્ષે – 1930 માં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલા કૉંગ્રેસ અધિવેશને પૂર્ણ સ્વરાજનો ઐતિહાસિક ઠરાવ સ્વીકાર્યો, પરંતુ ઠરાવમાં એક આશ્વાસનનો સમાવેશ કરી અખંડિતાની પાંખો કાપી નાખવામાં આવી. મુસલમાન, શીખ જેવી કહેવાતી લઘુમતીઓને આશ્વાસન આપવામાં આવ્યું કે ‘ભાવી બંધારણમાં સંબંધિત પક્ષોને પૂરેપૂરો સંતોષ આપી ન શકે એવું કોઈ સમાધાન કૉંગ્રેસને માન્ય નહીં હોય’ લઘુમતીઓ માટે આ આશ્વાસન ‘વીટો પાવર’ જેવું હતું.
કોન્ગ્રેસે અંગ્રેજોનો ઔપનિવેશિક સ્વરાજ્ય (ડોમિનિયન)ના સ્તરવાળા અસ્પષ્ટ ઠરાવને ફગાવી દીધો અને બીજું રાષ્ટ્રવ્યાપી અસહયોગ આંદોલન કરવાનો નિર્ણય કર્યો. લંડનમાં યોજાનાર પ્રથમ ગોળમેજી પરિષદ અને વિધાન-મંડળોનો બહિષ્કાર તેમજ એની સાથે અસહકાર કરવાની જાહેરાત કરી દીધી. પહેલી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયેલા ડો. આંબેડકરે અછૂતો માટે હક્કોની માંગણી સાથે – સાથે પ્રજા દ્વારા ચૂંટાયેલી લોકતાંત્રિક સરકારની માંગણી કરી, દેશભક્તિનો પરિચય કરાવ્યો. પરંતુ કોંન્ગ્રેસે ડો. બાબાસાહેબ આંબેડકરને દેશદ્રોહી, ગદ્દાર અને અંગ્રેજોના પીઠ્ઠું એવી ગાળો ભાંડી હતી.
1930માં ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રા શરૂ થઈ. મીઠાનો સત્યાગ્રહ થયો અને અંગ્રેજ સરકારે ગાંધીજી તથા અન્ય કૉંગ્રેસી નેતાઓને નજરકેદ કરી લીધા; પરંતુ કૉંગ્રેસના બહિષ્કારને કારણે ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ હોવાથી કૉંગ્રેસી નેતાઓને તરત જ છોડી દેવામાં આવ્યા. અંગ્રેજો વિચારતા હતા કે ઓછામાં ઓછું બીજી ગોળમેજી પરિષદમાં તો કૉંગ્રેસનો સહયોગ મેળવવો જ જોઈએ. આથી ઝડપી ઘટનાઓ બનવા માંડી. ગાંધીજીને છોડી મૂકવામાં આવ્યા. ગાંધી – ઈર્વિન કરાર થયા, બધા રાજકીય કેદીઓને છોડી મૂકવામાં આવ્યા.
હા, એમાં ભગતસિંહ-સુખદેવ અને રાજગુરુનો સમાવેશ નહોતો.
ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ગાંધી – ઈર્વિન કરારે મુસલમાનોને અસ્વસ્થ કરી મૂક્યા. આ કરારો થયા પછીના ત્રણ અઠવાડિયામાં જ કાનપુરમાં ભયંકર તોફાનો થયા. 23 માર્ચે ભગતસિંહને ફાંસી આપવામાં આવી તેના વિરોધમાં બંધનું એલાન અપાયું હતું. મુસ્લિમોએ દુકાન બંધ રાખવાની ના પાડી. કોન્ગ્રેસના ટેકેદારોએ દુકાનો બંધ કરાવવા દબાણ કર્યું, એમાંથી તોફાનો ભડક્યા. 24 માર્ચે હિન્દુઓની દુકાનો લૂંટાઇ. 25 માર્ચે આગ લગાડવામાં આવી. દુકાનો તથા મંદિરોને આગ લગાડીને ભસ્મીભૂત કરી દેવામાં આવ્યા. અંધાધૂંધી આગ, લૂંટ, હત્યા ભયંકર અગ્નિની જેમ પ્રસર્યા. પાંચસો કુટુંબોએ પોતાના ઘર છોડી ગામડામાં આશરો લીધો. ડો. રામચંદ્રને તો ખૂબ સહન કરવું પડ્યું. તેમની પત્ની તથા વૃદ્ધ માતા-પિતા સહિત તમામ પરિવારજનોની હત્યા કરી નાખવામાં આવી અને તેમના દેહોને ગટરમાં ફેંકી દેવામાં આવ્યા. તે જ કત્લેઆમમાં ગણેશ શંકર વિદ્યાર્થીની પણ હત્યા કરવામાં આવી. જાનમાલને બહુ મોટું નુકસાન થયું. ઓળખી શકાયેલા મૃતદેહોની સંખ્યા 300 જેટલી હતી, પરંતુ જાણવા મળ્યા મુજબ મરણ પામેલાની સંખ્યા 400-500 જેટલી હતી.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 201)
કૉંગ્રેસે અસહયોગ આંદોલન પાછું ખેંચી લીધું અને બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો.
ક્રમશ © kishormakwana